World

નેપાળના પૂર્વ PMના ઘરમાંથી રોકડ અને સોનું મળ્યું, રક્સૌલ બોર્ડર પર અવરજવર બંધ

નેપાળમાં ચાલી રહેલા ગેન્જી આંદોલનની અસર ચોથા દિવસે પણ યથાવત રહી છે. કાઠમંડુ સહિત ઘણા શહેરોમાં કર્ફ્યુ લાગુ કરાયો છે અને પરિસ્થિતિ તંગ છે. આ દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના ઘરમાં બનાવેલી ખુફિયા ટનલમાંથી મોટા પ્રમાણમાં રોકડ અને સોનું મળ્યાની ઘટના પ્રકાશમાં આવતા રાજકીય હલચલ વધી ગઈ છે.

રક્સૌલ બોર્ડર બંધ
આંદોલનને કારણે ભારત અને નેપાળ સરહદ પર અવરજવર પર નિયંત્રણ છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રક્સૌલ બોર્ડર પરથી સામાન્ય લોકોને નેપાળમાં પ્રવેશ કરવાની મંજૂરી નથી. ફક્ત બીમારી અથવા કટોકટીના કિસ્સામાં જ પરવાનગી આપવામાં આવે છે. નેપાળ સશસ્ત્ર પોલીસ અને સેનાના અધિકારીઓ તપાસ કર્યા બાદ જ લોકોનો પ્રવેશ નક્કી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં નેપાળના વિવિધ વિસ્તારોમાં ત્રણ લાખથી વધુ ભારતીય નાગરિકો ફસાયેલા છે. જેઓ પર્યટન અથવા સગાસંબંધીઓની મુલાકાત માટે નેપાળ આવ્યા હતા.

દેઉબાના ઘરમાંથી સંપત્તિ મળી
કાઠમંડુમાં દેઉબાના નિવાસસ્થાનમાં નીચે બનાવેલી ગુપ્ત ટનલમાંથી બોરીઓમાં ભરેલી નોટો અને સોનું મળ્યું હોવાનું કહેવાય છે. વિરોધીઓએ હુમલો કર્યો ત્યારે ઘરમાં આગ લાગી હતી અને કેટલાક રૂમમાં રાખેલી નોટો બળી ગઈ હતી.

તપાસ દરમિયાન સુરક્ષા દળોને મોટી રકમ અને સોનું મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. જેને કારણે તણાવ વધુ વધી ગયો હતો.

રાજકીય ઉથલપાથલ
વિરોધીઓના હુમલામાં દેઉબા અને તેમની પત્ની ઘાયલ થયા હતા. હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ, ટનલમાંથી મળેલી સંપત્તિએ નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી ચળવળને વધુ પ્રબળ બનાવી છે. સત્તાવાર એજન્સીઓએ હજી સુધી આ મામલે કોઈ વિગત જાહેર કરી નથી. પરંતુ આ રિકવરીને કારણે દેઉબા પર દબાણ વધી રહ્યું છે.

નેપાળમાં વધતા વિરોધ અને ભ્રષ્ટાચારના ખુલાસા વચ્ચે પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. લોકો સરકાર પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે અને સુરક્ષા દળોને કાયદો વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે.

Most Popular

To Top