ઈરાનના સુપ્રીમ લીડર Ayatollah Ali Khameneiના મિસાઇલ હુમલામાં અવસાનના સમાચાર સામે આવતા જ ભારતમાં અનેક શહેરોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઈરાનના રાજ્ય મીડિયાએ ઘટનાની પુષ્ટિ કર્યા બાદ લખનૌ, શ્રીનગર, જમ્મુ, લદ્દાખ અને અન્ય શિયા બહુમતી વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હાથમાં ખામેનીની તસવીરો અને કાળા ધ્વજ સાથે પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ રેલીઓ યોજી અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથે તાત્કાલિક બેઠક બોલાવી તમામ જિલ્લાઓને ખાસ તકેદારી રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપી. લખનૌ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
લખનઊના ઐતિહાસિક છોટા ઇમામબાડા ખાતે વિશેષ શોકસભા યોજાઈ, જ્યાં મૌલાના યાસુબ અબ્બાસના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ખામેનીને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, આ સાથે 3 દિવસના શોકની જાહેરાત પણ કરવામાં આવી હતી. મૌલાના કલ્બે જાવદે દેશભરના શિયા સમુદાયને સાંજે 8 વાગ્યે એકસાથે શોકસભાઓ યોજવા અને એકતા દર્શાવવા અપીલ કરી. અનેક શિયા સંસ્થાઓએ પોતાના સ્થાપનો બંધ રાખવાની જાહેરાત કરી છે. કાશ્મીરના શિયા બહુમતીવાળા વિસ્તારોમાં પણ સેંકડો લોકો શાંતિપૂર્ણ રીતે રસ્તા પર ઉતર્યા. શ્રીનગર અને રામબન સહિતના વિસ્તારોમાં પ્રદર્શન નોંધાયા. પ્રદર્શનકારીઓએ અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા, જોકે સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે મોટા ભાગના કાર્યક્રમો શાંતિપૂર્ણ રહ્યા. લદ્દાખમાં પણ કૅન્ડલ માર્ચ યોજાઈ અને સમુદાયે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ વચ્ચે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી Omar Abdullahએ શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ઈરાનમાં રહેલા જમ્મુ-કાશ્મીરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહી છે. તેમણે તમામ સમુદાયોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો-વ્યવસ્થાને સહકાર આપવા અનુરોધ કર્યો. દિલ્હીમાં સ્થિત ઈરાનના દૂતાવાસે પણ શોક વ્યક્ત કરતાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ઉતાર્યો. કેટલાક રાજકીય પક્ષોએ ઘટનાની નિંદા કરી અને નિર્ધારિત કાર્યક્રમો મુલતવી રાખ્યા. સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર ચીવટપૂર્વકની નજર રાખી રહી છે. પ્રશાસનનો ભાર છે કે લોકો શાંતિ જાળવે અને કોઈ પણ પ્રકારની અશાંતિને પ્રોત્સાહન ન આપે.