અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોસા ખાધા બાદ બે નાની બાળકીના શંકાસ્પદ મૃત્યુની ઘટનામાં પોલીસની તપાસ વધુ તેજ બની છે. આજે પોલીસ અને એફએસએલની ટીમની હાજરીમાં સ્મશાનમાં જ્યાં અઢી માસની બાળકીના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના ચાંદખેડામાં ડેરીમાંથી ખરીદેલા ખીરાથી ઢોસા બનાવી તે ખાધા બાદ માસુમ બાળકીનું મૃત્યું થયું હતું આ ઘટના બાદ પરિવાર દ્વારા બંને બાળકીના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી. પરંતુ મૃત્યુ અંગે શંકા ઊભી થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અઢી માસની બાળકીનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને હવે તેનો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન FSLની ટીમને પણ સાથે રાખવામાં આવી છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતદેહ બહાર કાઢીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પરિવાર દ્વારા ઢોસાના ખીરામાં રહેલા સંભવિત ઝેરી તત્ત્વોને કારણે ફૂડ પોઈઝનિંગ થવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનામાં બાળકીઓના માતા-પિતાની તબીયત બગડતા તેમને હોસ્પિટલમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.