પેપર લીક મુદ્દે વિધાનસભામાંથી કોંગ્રેસનો વોકઆઉટ : દેખાવો સાથે હોબાળો મચાવ્યો

ગાંધીનગર: રવિવારે (Sunday) મહેસાણાના (Mehsana) ઉનાવા ખાતે મીરાદાતાર હાઈસ્કૂલમાં (High School) વન રક્ષકની પરીક્ષાનું પેપર (Paper) લીક થયાનો કોંગ્રેસ (Congress) દ્વ્રારા આક્ષેપ થયો હતો. જેના પગલે સોમવારે (Monday) વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યો દ્વારા પોસ્ટર્સ (Posters) બતાવીને દેખાવો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. વેલ ઓફ ધી હાઉસમાં કોંગ્રેસના સભ્યો ધસી આવતા સલામતી રક્ષકો દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. તે વખતે કોંગ્રેસના સભ્યો દ્વારા હોબાળો અને દેખાવો કરવામાં આવતા વિધાનસભા અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યએ ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. તે જ વખતે કોંગ્રેસના સભ્યો દ્વારા ગૃહમાંથી સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો હતો.

કોંગ્રેસના સિનિયર સભ્ય પુંજાભાઈ વંશે સોમવારે ગૃહની અંદર મહેસાણામાં પેપર લીક મામલો ઉપસ્થિત કરીને સરકારના નિવેદનની માંગણી કરી હતી. વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, અણીત ચાવડા સહિતના સભ્યોએ સોમવારે આ મુદ્દે રજૂઆત કરી હતી. જેના પગલે કોંગ્રેસના સભ્યોએ હાથમાં પોસ્ટર્સ લઈને દેખાવો કર્યા હતા. જેમાં ‘પેપર લીક, સરકાર લીક તથા પેપર ફૂટ્યુ, બેરોજગારોનું ભવિષ્ય ફૂટ્યું’ તેવા સૂત્રો પોકાર્યા હતા. આ રીતે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો વેલ ઓફ ધી હાઉસમાં આવી ગયા હતા. એટલું જ નહીં વેલમાં દેખાવો તથા સૂત્રો પોકાર્યા હતા. 15 મિનિટ સુધી કોંગ્રેસના સભ્યોએ દેખાવો તથા હંગામો ચાલુ રાખતા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ સલામતી રક્ષકોને આદેશ કર્યો હતો કે વેલમાં આવી ગયેલા સભ્યોને બાહર લઈ જાવ, તે વખતે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યો હતો. ત્યાર બાદ અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

વિધાનસભાના પગથિયા પાસે પૂતળુ બાળ્યું, કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
સોમવારે સવારે જ્યારે વિધાનસભાની કાર્યવાહી શરૂ તે પહેલા જ કોંગ્રેસના સભ્યો પોસ્ટર્સ સાથે વિધાનસભા સંકુલની અંદર આવ્યા હતા. જેમાં પેપર લીકના સૂત્રો પોકાર્યા હતા. અલબત્ત, પોસ્ટર્સ સાથે તેઓને અંદર જતાં અટકાવવામાં આવ્યા હતા. અહીં કોંગ્રેસના કાર્યકરોએ અચાનક વિધાનસભાના પગથિયા પાસે મોંઘવારી, બેરોજગારી તથા પેપર લીકના રાક્ષસનું પૂતળુ બાળ્યું હતું. જેના પગલે પોલીસ ત્વરીત દોડી આવી હતી. પોલીસ પૂતળુ બાળનાર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ કાર્યકરોએ પૂતળુ બાળ્યા પછી સરાકર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સોમવારે ગાંધીનગરમાં પોલીસ લોખંડી કિલ્લેબંધી કરી દીધી હોવા છતાં સલામતી વ્યવસ્થામાં કોઈ છીંડા રહી ગયા હોય તેમ કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાના પગથિયા પાસે રોડ પર પૂતળુ બાળ્યું હતું. સોમવારે ગાંધીનગર પોલીસ દ્વારા ઉવા કોંગ્રેસની સ્વાભિમાન રેલીને મંજૂરી અપાઈ નહોતી.

Most Popular

To Top