Vadodara

BCAની ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ,સિનિયર સિટીઝનની તબિયત લથડી

850 થી વધુ મેમ્બર્સનું મતદાન,ઉમેદવારોનું મનોબળ વધારવા અનેક ચહેરા દેખાયા :

મતદાન કેન્દ્ર બહાર મતદારોની ભારે ભીડ,નારા લગાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

બરોડા ક્રિકેટ એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ છે. સવારે 9:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બપોરે 12: 45 વાગ્યા સુધીમાં 850 થી વધુ મેમ્બર મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિવાઇવલ ગ્રુપ દ્વારા રિવાઇવલ 31 ના નારા લગાવવામાં આવ્યા જ્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વોટ ફોર રોયલ સત્યમેવ જયતે ના નારા લગાવવામાં આવ્યા હતા.

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આજે રામબાગ ખાતે યોજાઈ છે. રીવાઈવલ ગ્રુપ માંથી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપના શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેન્કર વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. પરંતુ હાઇકોર્ટના આદેશને પગલે પરિણામ જાહેર નહીં થાય. જે આગામી 17મી તારીખે કોર્ટમાં સુનાવણી બાદ મત ગણતરી ક્યારે થશે. એની તારીખ નક્કી થશે. જોકે આજે સવારથી જ મતદારોની ભીડ ઉંમટી છે. તમામ ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.

બીજી તરફ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન તરસાલી વિસ્તારમાં રહેતા બીસીએના સભ્ય સિનિયર સિટીઝન રાજુભાઈ વૈદ્ય રામબાગ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન મતદાન મથકની બહાર જ અચાનક તેમની તબિયત લથડી હતી. જેના કારણે હાજર સૌ કોઈમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક મેમ્બરો અને સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીસીએની ચૂંટણીમાં ત્યારે પણ હોબાળો મચ્યો હતો જ્યારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર અરજદાર રામચંદ્ર પ્રજાપતિ પોતે મતદાન કરવા પહોંચ્યા હતા. બીસીએ ઉમેદવારોની લાયકાત અંગે હાઇકોર્ટમાં અરજી કરનાર રામચંદ્ર પ્રજાપતિ પોતાનો મતાધિકાર વાપર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે જાહેરમાં રોયલ સત્યમેવ જયતે ગ્રુપને સમર્થન જાહેર કર્યું હતું. જોકે જ્યારે મીડિયાએ તેમને હાઇકોર્ટમાં કરેલી અરજી અને તેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં આવેલા અવરોધો અંગે સવાલો પૂછ્યા, ત્યારે તેઓ તેના જવાબ આપવાને બદલે ત્યાંથી ચાલતી પકડી હતી.

મહત્વની બાબત છે કે રામચંદ્ર પ્રજાપતિની અરજીને પગલે જ ગુજરાત હાઇકોર્ટે બીસીએ અને ચૂંટણીના પરિણામ પર સ્ટે આપ્યો છે. જો કે આજે જ પરિણામ જાહેર થવાનું હતું. પરંતુ, હવે હાઇકોર્ટના આદેશ અનુસાર 17 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. અરજદારના આ વલણથી ચૂંટણી મેદાનમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એક તરફ પરિણામની પરિસ્થિતિ અને બીજી તરફ અરજદારનું મતદાન.1 બીસીએની આ ચૂંટણી હવે કાયદાકીય જંગમાં ફસાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top