National

દેશભરમાં ધૂમધામથી ઉજવાયો બકરીઇદનો તહેવાર, પોલીસ એલર્ટ, જામા મસ્જિદમાં ભીડ

નવી દિલ્હી: દેશભરમાં બકરીઇદનો (Bakri Eid) તહેવાર આજે તારીખ 17 જૂનના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ આ પર્વ નિમિત્તે મસ્જિદોમાં (Masjid) વિશેષ નમાઝ પઢવામાં આવી હતી. ત્યારે નમાઝ (Namaz) દરમિયાન દિલ્હીની જામા મસ્જિદમાં (Jama Masjid) મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. યુપી અને તેલંગાણા સહિત દેશભરમાં પોલીસ એલર્ટ મોડ પર છે.

મુરાદાબાદમાં ઈદ-ઉલ-અઝહાના અવસર પર પોલીસે ફ્લેગ માર્ચ કરી અને કાયદો અને વ્યવસ્થાનો સ્ટોક લીધો હતો. ત્યારે દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પણ ઈદ-ઉલ-અઝહા પહેલા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી હતી. ઘણી વખત તહેવારો દરમિયાન અસામાજિક તત્વો અફવાઓથી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે અને કેટલીક વખત તેઓ સફળ પણ થાય છે. ત્યારે આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ સંપૂર્ણ તકેદારી રાખી છે.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

બસરીઇદના અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને બકરીઇદની શુભેચ્છા પાઠવી હતી. તેમણે શુભેચ્છા પાઠવતા પોતાના એક્સ હેન્ડલ ઉપર લખ્યું, “ઈદ-ઉલ-અધાની શુભકામનાઓ. આ ખાસ અવસર આપણા સમાજમાં એકતા અને સંવાદિતાને વધુ મજબૂત કરે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.” પીએમ મોદી ઉપરાંત ઘણા નેતાઓએ પણ બકરીની શુભકામના પાઠવી હતી.

ભડકાઉ રીલ બનાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં, યુપી પોલીસે ભડકાઉ રીલ બનાવનાર વ્યક્તિને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ યુવકે ઓછામાં ઓછી બે રીલ બનાવી હતી, જેમાં તે બકરીદ પહેલા રક્તપાતની વાત કરતો હતો. સોશિયલ મીડિયા પર આ રીલ વાયરલ થયાના 6 કલાકની અંદર પોલીસે રીલ બનાવનારને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ પછી રીલ બનાવનાર યુવકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોલીસકર્મીઓની માફી માંગતો જોવા મળ્યો હતો.

રવિવારે સાંજે ઈદ-ઉલ-અઝહા પહેલા દિલ્હીના તમામ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સોમવારથી શરૂ થયેલ ઇદ-ઉલ-અઝહાનો તહેવાર બુધવારે સાંજ સુધી ઉજવાશે, જેથી બજારો સોમવારે પણ ધમધમી રહ્યાં છે. ઈદ-ઉલ-અઝહાની નમાજ જામા મસ્જિદમાં સવારે 6 વાગ્યે જ્યારે ફતેહપુરી મસ્જિદમાં સવારે 7.15 વાગ્યે અદા કરવામાં આવી હતી.

Most Popular

To Top