અમેરિકા–ઈઝરાયલ–ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય મુસાફરોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી છે. મીડિયા અહેવાલો મુજબ એર ઇન્ડિયા પશ્ચિમ એશિયાના વિવિધ શહેરો માટે અને ત્યાંથી કુલ 58 વિશેષ ફ્લાઇટ્સ ચલાવવાની તૈયારીમાં છે. બીજી તરફ ઇન્ડિગોએ પણ મધ્ય પૂર્વના આઠ સ્થળો માટે આજથી ખાસ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ્સ દ્વારા દુબઈ, અબુ ધાબી અને શારજાહ સહિતના શહેરોમાં રહેલા ભારતીયોને દેશમાં પરત લાવવામાં મદદ મળશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ 9 માર્ચે ભારતીય એરલાઇન્સે પશ્ચિમ એશિયા માટે અને ત્યાંથી કુલ 45 ફ્લાઇટ્સ ચલાવી હતી, જેમાં 7,047 મુસાફરો મુસાફરી કરી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ સતત વધારાની વ્યવસ્થા કરી રહી છે.
અહેવાલો મુજબ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સ્લોટ અને પરિસ્થિતિઓના આધારે સંયુક્ત આરબ અમીરાત (UAE) માટે અને ત્યાંથી કુલ 36 અનિયમિત ફ્લાઇટ્સ પણ ચલાવી રહી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે આ તમામ ફ્લાઇટ્સ સંબંધિત ભારતીય અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ચલાવવામાં આવી રહી છે. ફ્લાઇટ ઓપરેશન અંગેની વિગતો મુજબ એર ઇન્ડિયા દિલ્હી અને મુંબઈથી જેદ્દાહ સુધી એક-એક રાઉન્ડ ટ્રિપ ચલાવશે. જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ હૈદરાબાદ અને કોઝિકોડથી જેદ્દાહ માટે રાઉન્ડ ટ્રિપ ફ્લાઇટ્સ ચલાવશે. ઉપરાંત એર ઇન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે નિયમિત સેવાઓ પણ શરૂ કરી રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, કન્નુર, તિરુવનંતપુરમ અને તિરુચિરાપલ્લીથી એક-એક રાઉન્ડ ટ્રિપ તેમજ કોચીથી બે રાઉન્ડ ટ્રિપનો સમાવેશ થાય છે. બીજી તરફ ઇન્ડિગોએ જણાવ્યું છે કે તે મધ્ય પૂર્વના આઠ સ્થળો ઉપરાંત યુરોપના પસંદગીના શહેરો માટે પણ ફ્લાઇટ્સ ચલાવશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી અને સેવા સતત ચાલુ રહે તે માટે એરલાઇન્સને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા વધારાના આગમન અને પ્રસ્થાન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે જ દુબઈ, અબુ ધાબી, શારજાહ, રાસ-અલ-ખૈમાહ, અલ-અલાન, ફુજૈરાહ, જેદ્દાહ અને મદીના જતા વિમાનો માટે મસ્કત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વૈકલ્પિક એરપોર્ટ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ પગલાંઓ દ્વારા મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી અને સુરક્ષિત રીતે વતન પરત લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.