2010માં રાજપાલ યાદવે તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પાંચ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. અને એની ચૂકવણી કરવામાં એ નિષ્ફળ ગયા. અનેક મોકા મળવા છતાં રાજપાલને પૈસા ભેગા કરવામાં નિષ્ફળતા મળી. આખરે તેમણે કોર્ટ સામે સરન્ડર થવું પડ્યું! હાલ તેઓ તિહાર જેલમાં છે. આ દરમિયાન રાજપાલે એક વખત પોતાની હતાશા દર્શાવતા એવું ય વિધાન કરી દીધું, કે આજે મારી પાસે પૈસા પણ નથી અને મિત્રો પણ નથી!
જો કે ગંભીર આર્થિક મુશ્કેલીનાં આ સમયમાં હવે બોલીવુડના જાણીતા નામો રાજપાલ યાદવને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. પહેલા સોનુ સુદ પછી સલમાન ખાન, વરુણ ધવન અને અજય દેવગન પણ રાજપાલની મદદ કરવા તૈયાર થયા છે. એક કલાકાર તરીકે રાજપાલે વર્ષો સુધી પ્રેક્ષકોને હસાવ્યા છે. એનો બદલો વાળતા હોય એમ બોલીવુડ દિગ્ગજો આ કલાકારની મદદ માટે તૈયારી દર્શાવી રહ્યા છે.
રાજપાલ યાદવના મેનેજર ગોલ્ડીએ જણાવ્યું છે કે ડેવિડ ધવન અને ફેરાસ જેવા બીજા સેલિબ્રિટીઝ પણ ફોન કરીને મદદ માટે તૈયારી દર્શાવી રહ્યા છે. આવતી કાલે, ૧૨ ફેબ્રુઆરીએ રાજપાલ યાદવની જામીન માટે અરજી કરાશે. તેમના પરિવાર અને મેનેજર બંને આશા રાખે છે કે તે જલ્દી જેલમાંથી બહાર આવી શકે.