National

જયપુરમાં પથ્થરબાજો સામે વહીવટીતંત્રનું એક્શન મોડ, ગેરકાયદે બાંધકામો તોડાયા

જયપુર જિલ્લાના ચોમુ વિસ્તારમાં તાજેતરમાં બનેલી પથ્થરબાજીની ઘટનાને લઈ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વહીવટીતંત્રે આજે 2 જાન્યુઆરીની વહેલી સવારથી કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા મકાનો અને માળખાં પર બુલડોઝર ચલાવીને પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હિંસા અને કાયદાભંગને કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે.

પ્રશાસનિક સૂત્રો મુજબ પથ્થરબાજીની ઘટનામાં સંડોવાયેલા લોકોના ગેરકાયદે બાંધકામો સામે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. કુલ 24 લોકોના ઘરો અને દુકાનો પર નોટિસ ચોંટાડીને 1 જાન્યુઆરી સુધીનો સમય અપાયો હતો. સમયમર્યાદા પૂરી થતાં જ આજે મ્યુનિસિપલ કાઉન્સિલ, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓની હાજરીમાં તોડફોડની કાર્યવાહી હાથ ધરાઈ. અત્યાર સુધીમાં આ કેસમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગેરકાયદે કતલખાનાઓ અને અતિક્રમણ પર પણ નજર
ચોમુમાં ફક્ત મકાનો જ નહીં પરંતુ ગેરકાયદે રીતે ચાલતા કતલખાનાઓ અને રસ્તા પરના અતિક્રમણ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કાઉન્સિલે શહેરના વિવિધ વિસ્તારોમાં 20થી વધુ સ્થળોએ નોટિસ આપી હતી. તેમાં ગેરકાયદે કતલખાનાઓ, તેમજ જાહેર માર્ગ પર બાંધવામાં આવેલા સીડીઓ અને રેમ્પનો સમાવેશ થાય છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નિયમ વિરુદ્ધના તમામ માળખાં દૂર કરવામાં આવશે.

પથ્થરબાજીની ઘટના કેવી રીતે ઉઠી હતી?
માહિતી અનુસાર પઠાણ મોહલ્લા નજીક આવેલી કલંદરી મસ્જિદની બહાર વર્ષોથી પડેલા મોટા પથ્થરોને કારણે ટ્રાફિક અવરોધ ઊભો થતો હતો. પથ્થરો દૂર કરવા બાબતે મસ્જિદ સમિતિ સાથે બેઠક બાદ સંમતિ પણ થઈ હતી. છતાં, જ્યારે પ્રશાસનની ટીમ કામગીરી માટે પહોંચી, ત્યારે અચાનક હિંસા ફાટી નીકળી અને પથ્થરમારો થયો.

ડ્રોન તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા
ઘટના બાદ સમગ્ર વિસ્તાર પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી. તપાસ દરમિયાન અનેક ઘરોની છત પર પહેલેથી જ ઇંટો, પથ્થરો અને બોટલો સંગ્રહિત હોવાના દ્રશ્યો સામે આવ્યા. જેને પ્રશાસન સુનિયોજિત હિંસાનું સંકેત માને છે.

હાલ ચોમુમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે શાંતિ ભંગ કરનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

Most Popular

To Top