ભારતે પોતાની રક્ષા શક્તિમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. દેશની ત્રીજી સ્વદેશી ન્યુક્લિયર પાવરથી સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS Aridhamanને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ સબમરીનના સમાવેશથી ભારતની સ્ટ્રેટેજિક શક્તિ અને સમુદ્રી સુરક્ષા બંનેમાં મોટો વધારો થયો છે.
રિપોર્ટ મુજબ, આ સબમરીનનું કમિશનિંગ રક્ષા મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવી છે. INS અરિધમન ભારતની ‘ન્યુક્લિયર ટ્રાયડ’નો મહત્વપૂર્ણ ભાગ છે, જે જમીન, હવા અને સમુદ્ર ત્રણેય માધ્યમથી પરમાણુ પ્રતિક્રિયા કરવાની ક્ષમતા આપે છે. INS અરિધમન Arihant-ક્લાસ સબમરીનનો ભાગ છે અને તે પહેલા થી સેવા આપી રહેલી INS Arihant અને INS Arighaat પછી ત્રીજી સબમરીન છે. આ નવી સબમરીન અગાઉની તુલનામાં વધુ મોટી, વધુ શાંતિપૂર્ણ (stealth) અને વધુ ઘાતક માનવામાં આવે છે.
લગભગ 7,000 ટન વજન ધરાવતી આ સબમરીન 83 મેગાવોટના ન્યુક્લિયર રિએક્ટરથી સંચાલિત છે, જેના કારણે તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. આ સબમરીન K-15 અને K-4 બેલિસ્ટિક મિસાઇલોથી સજ્જ છે, જેની મારક ક્ષમતા હજારો કિલોમીટર સુધી છે. રક્ષા નિષ્ણાતો અનુસાર, INS અરિધમન ભારતની “સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતા”ને મજબૂત બનાવે છે. એટલે કે, જો દેશ પર પરમાણુ હુમલો થાય તો પણ ભારત જવાબી હુમલો કરી શકે તેવી ખાતરી મળે છે. આ કારણે દેશની સુરક્ષા વધુ મજબૂત બને છે.
આ સબમરીન વિશાખાપટ્ટણમ ખાતે Ship Building Centreમાં બનાવવામાં આવી છે અને લાંબા સમય સુધી સમુદ્રી ટ્રાયલ્સ પછી તેને નેવીમાં સામેલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ તૈયાર થયો છે, જે દેશની આત્મનિર્ભરતા તરફનો મહત્વપૂર્ણ પગલું છે. INS અરિધમનના સમાવેશ સાથે હવે ભારતની સમુદ્રી શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે અને એશિયા-પ્રશાંત વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બની છે. હવે વિશ્વમાં ભારત એક મજબૂત નૌસેનાકીય શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.