Gujarat

ગાંધીનગરની હોસ્પિટલોમાં કોઈની રજા કે રાજીનામુ મંજુર નહીં થાય

ગાંધીનગર: ગાંધીનગર(GANDHINAGAR)માં કોરોના (CORONA) બેકાબુ બનતાં મેડિકલ ઈમરજન્સી (MEDICAL EMERGENCY) જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલો(PRIVATE HOSPITAL)માં કોરોનાના દર્દીઓની સારવાર માટે વેઈટીંગ (WAITING) ચાલી રહ્યું છે. જેના પગલે જિલ્લા કલેકટર કુલદીપ આર્યા દ્વારા મહત્વનો આદેશ બહાર પાડીને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં તબીબો (DOCTORS) કે પેરા મેડિકલ સ્ટાફ(MEDICAL STAFF), નર્સ, કલાસ-4ના કર્મચારીઓ માટે રજા મંજૂર નહીં કરવા ઉપરાંત કોઈનું પણ રાજીનામુ મંજૂર નહીં કરવા જણાવ્યું છે. જો આવું કરશે થશે તો એપેડેમીક એકટ અન્વયે પગલા ભરાશે, તેવી ચીમકી ઉચ્ચરી છે.

ગાંધીનગરમાં એક તરફ ઓક્સિજનાવળા બેડની સાથે હવે વેન્ટિલેટરની સુવિધાવાળા બેડની પણ જરૂરિયાત સાથે તેની અછત પેદા થવા પામી છે. ડબલ મ્યૂટન્ટ વાયરસના કારણે સીધી દર્દીના શ્વસન તંત્રને અસર થઈ રહી છે. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગાંધીનગરમાં હવે વેન્ટિલેટરની સુવિધા વધારવા માંગ થઈ છે. બીજી તરફ છેલ્લા 24 કલકામાં ગાંધીનગરમાં કોરોનાથી 35 દર્દીઓનું મૃત્યુ થયું છે.

ગાંધીનગરમાં કુલ 276 જેટલા નવા કેસો નોંધાયા છે. જેમાં મનપા વિસ્તારમાં 161 અને જિલ્લામાં 115 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં કોરોનાની સારવાર લેતા 35 દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે ગુરૂવારે રાત્રે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા મૃત્યુના આંકડાઓમાં ગાંધીનગર જિલ્લામાં માત્ર બે મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે.

Most Popular

To Top