Gujarat

​ગુજરાત કોંગ્રેસ કહે છે ,CAG રિપોર્ટમાં ભાજપ સરકારના ‘દેવાળિયા વહીવટ’નો પર્દાફાશ, દેવું ₹3.80 લાખ કરોડે પહોંચ્યું

ગાંધીનગર,તા.26

ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ થયેલા કેગ (CAG)ના અહેવાલે રાજ્યની આર્થિક સ્થિતિ અને ભાજપ સરકારના વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સીએજીના રિપોર્ટ ના આંકડાઓને ટાંકીને પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ શાસકોએ ગુજરાતને ‘દેવાદાર રાજ્ય’ બનાવી દીધું છે.

​દેવાનો ડુંગર અને નાણાકીય અરાજકતા

​CAG અહેવાલ મુજબ ગુજરાતની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે.

  • ​કુલ જાહેર દેવું: રાજ્યનું દેવું વધીને ₹3.80 લાખ કરોડ થઈ ગયું છે. ગત વર્ષ કરતા તેમાં ₹22,000 કરોડનો જંગી વધારો નોંધાયો છે.
  • ​બજાર લોન: સરકારની બજાર લોન ₹3.11 લાખ કરોડ પર પહોંચી છે, જે ગત વર્ષ કરતા ₹16,000 કરોડ વધુ છે.
  • ​આવક-ખર્ચમાં અસંતુલન: વર્ષ 2024-25માં મહેસુલી ખર્ચમાં ₹10,326 કરોડનો વધારો થયો છે, જ્યારે આવકમાં ₹4,208 કરોડનો ઘટાડો થયો છે. પરિણામે મહેસુલી પુરાંતમાં 43.41% નો ઘટાડો થયો છે.

​કેન્દ્ર દ્વારા ગુજરાતને ‘અન્યાય’ : ડબલ એન્જિન સરકાર પર પ્રહાર

​ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ગુજરાતને વિવિધ યોજનાઓમાં ફાળવવામાં આવતા નાણાંમાં કાપ મૂકી રહી છે:

  • ​આદિજાતિ વિકાસ: આદિજાતિ પેટા યોજનાઓમાં ગત વર્ષ કરતા ₹226.56 કરોડ ઓછા મળ્યા છે.
  • ​કેન્દ્રીય યોજનાઓ: વર્ષ 2023-24માં ₹7,540 કરોડ સામે 2024-25માં માત્ર ₹6,712.86 કરોડ ફાળવાયા છે.
  • ​આપત્તિ વ્યવસ્થાપન: કુદરતી આફતો સામે લડવા માટે પણ કેન્દ્ર સરકારે ગુજરાતને ઓછું અનુદાન આપ્યું છે.

​નિષ્ક્રિયતાનો ભોગ બનતા 18,000 ગામો
​રાજ્ય નાણાં પંચની રચનામાં વિલંબના કારણે પંચાયતી રાજની સંસ્થાઓને ઓછું અનુદાન મળ્યું છે. ભાજપ સરકારની આ નિષ્ક્રિયતાને કારણે ગુજરાતના 18,000 ગામો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે.

​રોકાણ ખોટમાં અને હિસાબો ગાયબ

​CAG રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો સરકારી રોકાણો અને તેના વળતર બાબતે થયો છે:
​”સરકારે જાહેર ક્ષેત્રના એકમોમાં ₹1.24 લાખ કરોડનું રોકાણ કર્યું છે, પરંતુ 63 માંથી માત્ર 6 એકમોએ જ વળતર આપ્યું છે. સરકાર 6.53% વ્યાજે નાણાં લાવે છે અને તેની સામે વળતર માત્ર 1.75% મળે છે.”

​વધુમાં, વર્ષ 2001-02 થી 2023-24 સુધીમાં અપાયેલી ₹7,431 કરોડની રકમનો કોઈ હિસાબ રજૂ કરવામાં આવ્યો નથી. 18 વિભાગો દ્વારા ₹4,258 કરોડના વપરાશના પ્રમાણપત્રો (UC) રજૂ ન કરીને ‘ભાગેડુ માનસિકતા’ બતાવી હોવાનું ડૉ. દોશીએ ઉમેર્યું હતું.

​વિકાસના દાવા વચ્ચે ગરીબીનું વરવું ચિત્ર

  • ​રાજ્યની 11.66% વસ્તી (લગભગ 84 લાખ નાગરિકો) ગરીબી રેખા નીચે જીવે છે.
  • ​અન્ન સુરક્ષા કાયદા હેઠળ 54% નાગરિકો (3.54 કરોડ) મફત અનાજ પર નિર્ભર છે, જે દર્શાવે છે કે રાજ્યની અડધી વસ્તી આર્થિક રીતે સક્ષમ નથી.
    ​નિષ્કર્ષ: કેગના અહેવાલ મુજબ ગુજરાતની વૃદ્ધિની ગતિ નબળી પડી છે અને રાજ્ય ગંભીર નાણાકીય ગેરશીસ્ત તરફ ધકેલાઈ રહ્યું છે.

Most Popular

To Top