અવારનવાર રેડ પાડવા છતાં પણ દર થોડે દિવસે ઓપરેશન હાથ ધરતા નકલી પનીરનો જથ્થો મળી આવે છે. જાહેર જનતાના સ્વાસ્થય સાથે ચેડા કરતા આ લોકોએ શરમ નેવે મૂકી દીધી હોય એવું લાગે છે. આ કોઈ પહેલી ઘટના નથી કે આટલા મોટા પ્રમાણમાં ભેળસેળિયું પનીર મળી આવ્યું હોય. આ પહેલા પર અનેકવાર દરોડા પડાયા ત્યારે આવો માલ મળી આવવાની વાત કંઈ નવી નથી. ત્યારે હાલ ફરી એકવાર આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક શંકાસ્પદ પનીર બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીંથી 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીલ કરી દીધો છે, તેમ જ મશીનરી સહિત કુલ 28,44,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તહેવારોના સમયમાં આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ પનીર પકડાતા ચકચાર મચી ગઈ છે. સુરત S.O.G.ને બાતમી મળી હતી કે પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ગાળા નંબર-278માં ગેરકાયદેસર રીતે અને આરોગ્ય સાથે ચેડાં થાય તે રીતે પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે SOGની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને 1401 કિલો શંકાસ્પદ પનીર મળ્યું, જેની અંદાજિત કિંમત આશરે 3,08,220 રૂપિયા થાય છે. ઉપરાંત પનીર બનાવવા માટે વપરાતી પેશ્ચરાઇઝ મશીન, હોમોનાઇઝર અને સ્ટોરેજ પ્લાન્ટ જેવી મશીનરી પણ મળી આવી હતી, જેની કિંમત આશરે 25,00,000 રૂપિયા આંકવામાં આવી છે. સ્થળ પરથી પામોલીન તેલના 28 ખાલી અને 16 ભરેલા ડબ્બા તેમ જ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા.

રેડ દરમિયાન કારખાનાના આરોપી સંચાલક સ્થળ પર હાજર મળ્યા હતા. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ સુરતના અલથાણમાં રહે છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને દરરોજ આશરે 400 કિલો પનીર બનાવીને શહેરની અલગ-અલગ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતા હતા. આગળ વધુ પૂછપરછ કરાતા ખુલાસો થયો છે કે આરોપી પનીર બનાવી તેના પર “NON BRAND LOOS ANALOGUE PANEER” ના સ્ટીકર લગાવી વેચાણ કરતો હતો. સ્થળ પરથી આવા લગભગ 3000 સ્ટીકરો મળી આવ્યા છે. આ પનીર તે માત્ર 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતો હતો, જે સામાન્ય શુદ્ધ પનીરના ભાવ કરતા ઓછું હોવાથી અનેક લોકો છેતરાતા હતા. પોલીસે સ્થળ પરથી લગભગ 1000 જેટલી પ્લાસ્ટિક થેલીઓ પણ જપ્ત કરી છે. ફૂડ સેફ્ટી વિભાગે શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હાલ સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો લેબોરેટરી રિપોર્ટમાં પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.