અલ્હાબાદ હાઇકોર્ટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા મહત્વપૂર્ણ રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તેમની ધરપકડ નહીં કરવામાં આવે. સાથે જ કોર્ટએ તેમને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો નિર્દેશ પણ કર્યો છે. સુનાવણી દરમિયાન બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. ન્યાયાધીશે કહ્યું કે તમામ દસ્તાવેજો અને નોંધોનું વિગતવાર પરીક્ષણ કર્યા બાદ જ અંતિમ આદેશ આપવામાં આવશે. કોર્ટએ સંકેત આપ્યો છે કે માર્ચના ત્રીજા સપ્તાહમાં આ મામલે નિર્ણય આવી શકે છે.
આ કેસની શરૂઆત 22 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ યૌન શોષણની ફરિયાદ નોંધાઈ હતી. એડીજે રેપ અને પોક્સો વિશેષ અદાલતના આદેશ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા પછી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના એક શિષ્યએ ધરપકડથી બચવા માટે હાઇકોર્ટનો આશરો લીધો હતો. સુનાવણી દરમિયાન ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીની ક્રિમિનલ હિસ્ટ્રી અંગેની માહિતી પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. બચાવ પક્ષે આરોપોને રાજકીય અને સત્તાપ્રેરિત ષડયંત્ર ગણાવ્યા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે દલીલ કરી કે ફરિયાદી તપાસ પ્રક્રિયામાં પોલીસ સાથે કેમ હાજર રહે છે તે પ્રશ્નાર્થ છે. તેમના જણાવ્યા અનુસાર કથિત પીડિત બાળકો લાંબા સમયથી આશુતોષ બ્રહ્મચારી સાથે રહી રહ્યા છે. ફરિયાદ બાદ સ્વામીએ જાહેર નિવેદનમાં આરોપોને નિરાધાર ગણાવી કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપોને પોતાના વિરુદ્ધ રચાયેલ ષડયંત્ર ગણાવી ધર્મ યુદ્ધ શરૂ કરવાની વાત પણ કરી હતી. હાલ કોર્ટનો અંતિમ નિર્ણય બાકી છે, પરંતુ ધરપકડ પર લાગેલી તાત્કાલિક રોકથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને કાનૂની રાહત મળી છે.