ગાંધીનગર,તા.26
‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની મહત્ત્વાકાંક્ષી ફાળવણી કરી છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષા વકીલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કમિશનર અને સચિવ રાકેશ શંકરે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહયું હતું કે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ ધોરણે વિકસાવવામાં આવશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, શુદ્ધ પીવાના પાણી માટે આરઓ મશીન, એલઈડી ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર
આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫ ટકાથી વધારી ૩ ટકા અને પાયલોટ પ્રોજેક્ટ રૂપે નર્મદા, દાહોદ અને ડાંગ જિલ્લામાં ૪.૫ ટકા સુધી વધારાશે. આ માટે રૂ. ૩૮.૬૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
પોષણ અને આરોગ્ય પર વિશેષ ભાર
ઓછા વજન ધરાવતા બાળકોના આરોગ્ય સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ આધારિત ‘પોષણ સંગમ’ કાર્યક્રમો માટે રૂ. ૧૬ કરોડ ફાળવાયા છે. આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા ‘પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્ર’ સ્થાપવામાં આવશે. આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના માધ્યમથી હાજરી વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનશે.પૂરક પોષણ યોજના હેઠળ આપવામાં આવતાં રાશનના પેકેજિંગ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જેથી ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે અને રાશનની ચોરી અટકાવી શકાય.
બાલિકા પંચાયતથી નેતૃત્વ વિકાસ
કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તથા બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી ‘બાલિકા પંચાયત યોજના’ માટે રૂ. ૧.૦૩ કરોડ ફાળવાયા છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મનિષા વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સુપોષિત અને સશક્ત ગુજરાતના લક્ષ્ય સાથે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે વ્યાપક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાં લઈ રહી છે. આ જોગવાઈઓથી પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક સુધારો થશે અને ‘સુપોષિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા વધુ વેગ મળશે.