Gujarat

ચૂંટાયેલ પ્રતિનિધિઓના પ્રોટોકોલ મુદ્દે સરકાર સખત, સામાન્ય વહીવટ વિભાગનો કડક પરિપત્ર જાહેર કર્યો , જિલ્લા અધિકારીઓને સરકારની ચીમકી – સાંસદો અને ધારાસભ્યોને રાહ ના જોવડાવો

ગાંધીનગર : રાજ્યના જિલ્લાઓમાં પ્રવાસ વખતે મંત્રીઓ, સંસદસભ્યો અને ધારાસભ્યોના પ્રોટોકોલ જળવાતા ન હોવાની ફરિયાદો વચ્ચે રાજ્ય સરકારે સખત વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કડક શબ્દોમાં પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાના અધિકારીઓને શિષ્ટાચાર અને પ્રોટોકોલનું પાલન કરવા કડક હાથે પરિપત્ર જારી કરીને સૂચનાઓ આપવામાં આવી છે.

સચિવાલયમાં સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે રાજ્યના મંત્રીઓ જિલ્લાના પ્રવાસે આવે ત્યારે તેમને પ્રોટોકોલ મુજબ ગરિમાપૂર્ણ આવકાર આપવો ફરજિયાત રહેશે. જિલ્લા પ્રભારી મંત્રીને કાર્યક્રમોની જાણ કર્યા વગર આયોજન કરી શકાશે નહીં અને તમામ કાર્યક્રમોમાં સંકલન રાખવું જરૂરી રહેશે.સાથે સાથે કોઈપણ સંસદસભ્ય અથવા ધારાસભ્ય મુલાકાતે આવે ત્યારે તેમને રાહ ન જોવડાવી તાત્કાલિક મુલાકાત આપવાની સૂચના આપવામાં આવી છે. સરકારી કાર્યક્રમોની કંકોતરી, આમંત્રણ પત્રિકા અને મંચ વ્યવસ્થામાં પણ જનપ્રતિનિધિઓના નામ પ્રોટોકોલ મુજબ જ સમાવવાના રહેશે.

સરકારના ધ્યાને આવ્યું હતું કે કેટલીક જગ્યાએ કલેક્ટર કચેરી કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા – જનપ્રતિનિધિઓને પૂરતું સન્માન ન મળતા અસંતોષની લાગણી ફેલવવા પામી હતી. આ સમગ્ર મામલો છેક સીએમ ઓફિસ સુધી પહોચ્યો હતો. અગાઉ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી દ્વારા પણ સૂચનાઓના અમલ મુદ્દે નોંધ લેવાઈ હતી.આ પરિપત્રને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે સરકારએ સંદેશ આપ્યો છે કે ‘જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ’ સર્વોપરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે પ્રોટોકોલના ભંગને ગંભીર ગણાશે અને જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ સૂચનાઓ આપવામાં આવી

(1) જિલ્લા પ્રભારી મંત્રીને કાર્યક્રમોની જાણ કર્યા વગર આયોજન કરી શકાશે નહીં
(2) સાંસદ અથવા ધારાસભ્યને રાહ ન જોવડાવી તાત્કાલિક મુલાકાત આપવી
(3) સરકારી કાર્યક્રમોના આમંત્રણ અને મંચ વ્યવસ્થામાં જનપ્રતિનિધિઓને પ્રોટોકોલ પ્રમાણે સમાવવા

Most Popular

To Top