ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ તા. 25 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર અને ઓખા બંદર પર લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઇસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
તા. 25 ઑક્ટોબર (શનિવાર) સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તા. 26 ઑક્ટોબરે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરુચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
તા. 27 ઑક્ટોબરે રાજ્યના 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભરુચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે તા.28 થી 30 ઑક્ટોબર દરમિયાન પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.