શહેરના બીજા શાક માર્કેટ કરતા અમારે ત્યાં ભાડું વધારે હોવાના કારણે નિયમીત ભરાતું નથી: વેપારી
વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોરવા શાકમાર્કેટમાં ભાડું ન ભરનાર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગોરવા શાકમાર્કેટમાં કુલ 160 જેટલા ઓટલાઓ છે, જેમાંથી 100 જેટલા ઓટલાઓનું ભાડું બાકી છે. કેટલાક ઓટલાધારકોનું તો પાંચ વર્ષથી ભાડું અદા થયું નથી. આ ઓટલાધારકોમાંથી 80 ટકા જેટલાનું ભાડું લાંબા સમયથી બાકી છે.

ઓટલાધારકોનું માનવું છે કે, ગોરવા શાકમાર્કેટના ઓટલાઓનું વાર્ષિક ભાડું રૂ. 60,000 થી રૂ. 1.30 લાખ જેટલું છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારો જેવા કે ખંડેરાવ માર્કેટ, પાણીગેટ, કડક બજાર જેવા વિસ્તારોમાં ઓટલાનું ભાડું ખૂબ જ ઓછું છે. આથી ગોરવાના ઓટલાધારકો નિયમિત રીતે ભાડું ભરી શકતા નથી.

આ બાબતે પાલિકાએ કેટલાક ઓટલાઓને નોટિસ આપી છે, જ્યારે કેટલાક ઓટલાઓને સીલ પણ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજી પણ બાકી ભાડા હોય તેવા ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહી શકે છે.