Comments

સુખ આનંદમાં અને આનંદની યાત્રા ઊર્જામાં પરિવર્તિત થાય છે

ઉપનિષદ કહે છે ‘‘માનવશરીર દ્વંદ્વ છે. જો પશુતા (શરીર) તરફ ગતિ કરતો સુખમાં જીવે છે (અને) ઐશ્વર્ય (ચેતના) તરફ ગતિ કરે તો આનંદમાં રહે છે.’’ પૌરાણિક કથા અનુસાર નચિકેતા વરસો વરસની તપશ્ચર્યા પછી પિતા ઉદા્લકને પોતાને જડેલા પરમ સત્યને ઉજાગર કરતાં કહે છે ‘‘આનંદો પરમો ધર્મ’’ ભગવાન કૃષ્ણ પણ ગીતામાં મનુષ્યશરીરની સત્ ચિત્ત અને આનંદની અવસ્થા વર્ણવે છે. માનવશરીરને મળેલી પાંચ ઇન્દ્રિયો (રિસિવર)થી મધુર સ્પર્શ, સ્વાદ, શ્રવણ, દૃશ્ય અને સુવાસથી અંતતોગત્વા શરીરને સુખ મળે છે.

શરીરવિજ્ઞાન જેને બાયો કંફર્ટ કહે છે તેનું મીકેનિઝમ ખોલવાનું કામ ગુજરાતના ચિંતક, લેખક પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઇ ઠકકરે ૩૮ પાનાની પુસ્તિકા ‘‘યાત્રા સુખ અને આનંદની’ માં મૂક્યું છે. લેખક નોંધે છે કે મનુષ્યના ૧૨૦૦ થી ૧૪૦૦ ગ્રામના મસ્તિષ્કમાં રહેલા ૧૦૦ અબજથી વધુ ન્યુરોન્સની પરસ્પરની પ્રતિક્રિયામાંથી આનંદની અનુભૂતિ નિષ્પન થાય છે. માનવમસ્તિષ્કમાં ડોપામાઇન નામના રસાયણના સ્રાવથી શરીર આનંદની અનુભૂતિ કરે છે. આ રસાયણ યુવાનોને વધુ સાહસી, સક્રિય અને રોમાન્સ તરફ ધકેલે છે. જયારે મગજ દ્વારા વહેતા સેરાટોનિનના સ્રાવથી વ્યક્તિનું વર્તન આત્મવિશ્વાસથી સભર બની જાય છે.

તે વધુ પૈસા કમાવા, વધુ સાધન સુવિધા જોડવા જોખમ ખેડી શકે છે. માણસની પાછલી ઉંમરે ઓક્સિટોસીનનો પ્રભાવ વધતાં વ્યક્તિ વધુ ને વધુ પ્રેમાળ, સહુના આદર અને સન્માનને ઝંખનાર બને છે. ભારતીય દર્શન શાસ્ત્ર વ્યક્તિના વર્તન આધારે તેને તમસ્, રજસ્ અને સત્ત્વ તેમ ત્રણ સ્તરમાં વિભાજીત કરે છે. સિગ્મન્ડ ફોઇડ પણ વ્યક્તિની ૧૮ થી ૩૫ વર્ષની વય, ૩૫ થી ૬૦ વર્ષ અને ત્યાર બાદની વયમાં સ્વકેન્દ્રથી ઉપર ઊઠી સમાજ અને સૃષ્ટિમાં પોતાની જાતને આનંદિત રાખી શકે છે. તેવું અવલોકન આપે છે. માનવીય સુખ અને આનંદયાત્રાના તાણાવાણા ઉકેલતાં લેખક નોંધે છે ‘‘સુખ સાપેક્ષ છે.’’

જે વ્યક્તિ વ્યક્તિએ અલગ આકારે જોવા મળે છે. વર્તન વિજ્ઞાન કહે છે તેમ માણસને માત્ર ૨૫% સમજ જ્ઞાન, શિક્ષણ અથવા તાલીમમાંથી મળે છે. બાકી બધું ડહાપણ તેને માતા-પિતાના પક્ષે મળેલા છેલ્લાં ૩૦૦ વર્ષનાં જૈવિક વારસા (જેનેટીક્લ મેમરી)માંથી ઉપજે છે અને આથી જ તો કોઇની સ્વાદેન્દ્રિયને આઇસક્રીમ સુખ આપે તો કોઇને બટર ચિકન. કોઇની કર્મેન્દ્રિયને પ્રભુભજન સુખ આપે તો કોઇને ડિસ્કો. માનવશરીરના સંસ્કાર સુખ નક્કી કરે છે. આમ છતાં જીવવિજ્ઞાનનાં સંશોધનો અનુસાર ‘સુખના છેવાડે મળતો આનંદ પશુ-પ્રાણી અને વનસ્પતિમાં સમાન રીતે પરિણામદાયી રહે છે. ’’

પૃથ્વી ઉપર છેલ્લાં ૨૮-૩૦ હજાર વર્ષથી વિકસેલ બૌદ્ધિક માનવના ઇતિહાસની નોંધ ‘‘હ્યુમન કાઇન્ડ’ નામના સંશોધનમાં રુખ્મેર બ્રેખ્માન દ્વારા અંક્તિ થતા એક વાત સ્પષ્ટ થઇ શકે છે કે ‘‘પૃથ્વીનો ગોળો સ્વયં ચૈતન્ય છે. અહીં કશું નિર્જીવ નથી’’ એટલું જ નહીં પરંતુ થડ અને પાંદડાંથી એક સ્થળે સ્થિર રહેતી વનસ્પતિ પણ સંવેદનાની આપ-લે કરે છે. જળ અને ખોરાક જેવી બાબતોમાં માનવસમાજ માફક વૃક્ષો પરસ્પરને ઉપયોગી થઇ આનંદની અનુભૂતિ કરે છે. પ્લાંટ સાયકોલોજી (સાયકેડેલીસ ) ઉપરના અભ્યાસો જણાવે છે કે માનવશરીરનાં રંગસૂત્રો માફક વૃક્ષનાં ક્લોરોફીલમાં આનંદનો અહેસાસ યાદદાસ્ત તરીકે સચવાય છે અને પરંપરાગત રીતે ફળનાં બીજ સ્વરૂપે વારસામાં ઊતરે છે.

આધુનિક વિજ્ઞાન પ્રતિપાદિત કરે છે કે માનવ, પ્રાણી અને વનસ્પતિજગતને પોતપોતાની ઇન્દ્રિયજન્ય વ્યવસ્થાઓ સુખના માર્ગે દોરી જાય છે અને જીવજગતમાં હયાત ડી.એન.એ. માં રહેલાં શાંતિ,પ્રેમ,સ્વાતંત્ર્ય ઇત્યાદિ તત્ત્વ તેને સ્થાયીત્વ તરફ સમાન રીતે દોરી જાય છે. અહીં એક બીજો ચમત્કાર એ જોવા મળે છે કે એક સેકંડમાં અનેક વાર પાંખો ફફડાવી ફૂલો પર બેસતાં પતંગિયાં અને ભમરાના અભ્યાસથી ખ્યાલ આવે છે કે આનંદની અવસ્થા માણસમાં પણ જૈવિક વિદ્યુત તરંગો (બાયો ઇલેક્ટ્રીક વેવ્ઝ) ઉત્પન્ન કરે છે અને આથી જ તો આનંદમાં રહેનાર વ્યક્તિના હ્રદયમાં સ્ટન્ટ નથી મૂકવા પડતા!!! પ્રાણની સાધના કરનાર સાચુકલા અધ્યાત્મ ગુરુજનો પાસે બેસવાથી તેમની ઓરા શાંતિ અને ઊર્જાની અનુભૂતિ આપે છે!!! રમણ રેતીમાં ચાલેલા ભગવાન કૃષ્ણ કે હજારો સાધકો સાથે પગપાળા પ્રવાસ ખેડી સ્થાન પવિત્ર કરતા ભગવાન બુદ્ધ અને મહાવીરનો પ્રયાસ આજે પણ ચર્ચા જણાય છે!!!

ઔદ્યોગિક ક્રાંતિ પછીના વિશ્વનું બાળક સહજ રીતે જ મહત્ત્વાકાંક્ષા, સ્પર્ધા, ઇર્ષા, નિષ્ફળતાના ભય વચ્ચે ફસાતું જાય છે ત્યારે દુનિયા હેપીનેસ (સુખ)ના ઇન્ડેક્સ તૈયાર કરી શિક્ષણ અને બાળઉછેરમાં રહેલી ભૂલો સુધારી રહ્યું છે. પણ જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાન કહે છે હવે પીસ ઇન્ડેકસ (મનની શાંતિનાં ધોરણો) વિકસાવવાની જરૂરિયાત છે. કારણ નવી પેઢી અત્યંત ઝડપથી નિરાશાની આંધીથી ઘેરાઇ રહ્યાનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. અંતમાં નોંધવું રહ્યું કે માણસ ખાલી હાથે આવે છે અને સિકંદર સહિત સહુ ખાલી હાથે જતા રહે છે. પરંતુ માનવશરીરને મળેલ સુખની યાત્રા આનંદ ઊર્જામાં પરિવર્તિત કરી શકાય તો મહર્ષિ અરવિંદ કહેતા તેમ જગતને થોડું વધુ ઊર્જાવાન કર્યાનો આત્મસંતોષ મળી શકે તેમ છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top