કલેક્ટર કચેરીની ઇમારતને જોખમી દર્શાવી પાલિકાએ નોટિસ લગાડી છે ત્યાં જ નીચે રેશનકાર્ડની કામગીરી ચાલી રહી છે*
*અહીં કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?*
*શું અન્યત્ર સ્થળે રેશનકાર્ડ ની કામગીરી માટે સુરક્ષિત જગ્યા ફાળવી ન શકાય?*
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
વડોદરા શહેરમાં ઘણી બધી ઇમારતો જૂની અને જર્જરિત છે જે જોખમી સાબિત થઇ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ચોમાસાની શરુઆતમાં નિર્ભયા નોટિસ લગાવી સંતોષ માનવામાં આવે છે. પરંતુ આવી જર્જરિત અથવા તો જોખમી ઇમારતોના સુરક્ષા સંદર્ભે કોઇપણ પ્રકારની તકેદારી લેવામાં આવતી નથી. ફક્ત નોટિસ આપીને કામગીરી કરી પોતાની જવાબદારીમાંથી મુક્ત બની જાય છે. શું પાલિકા તંત્ર કોઇ હોનારતની ઘટના બને તે રાહ જોતું હોય છે. શહેરના કોઠી ચારરસ્તા નજીક આવેલી જૂની કલેક્ટર કચેરીની કેટલાક ઇમારતો જોખમી બનતાં અહીંથી કેટલીક કચેરીઓ તો સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી. પરંતુ હજી પણ અહીં રેશનકાર્ડને લગતી કામગીરી આવી જોખમી બિલ્ડિંગમાં કરવામાં આવી રહી છે. એક તરફ પાલિકા તંત્ર દ્વારા આ ઇમારતને જોખમી હોય નોટિસ લગાવી છે જ્યારે આ જ ઇમારતમાં નીચે રેશનકાર્ડ ની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં દરરોજના કેટલાય લોકો રેશનકાર્ડની કામગીરી માટે આવતા હોય છે. બીજી તરફ હાલમાં ચોમાસામાં જ્યાં શહેરમાં જૂની ઇમારતો, દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જો અહીં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? શું તંત્ર પાસે અન્ય કોઇ સુરક્ષિત જગ્યા નથી કે પછી કોઇ દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે? શું લોકોના સલામતી માટે ફક્ત નોટિસ ચોટાડી દેવી પૂરતું છે? આવી જોખમી ઇમારતો તરફે ધ્યાન આપવાની જવાબદારી કોની છે અને કોણ નક્કી કરશે આ જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદભવી રહ્યાં છે.