3 માર્ચે હોલિકા દહન અને 4 માર્ચે ધૂળેટી: ગ્રહણને કારણે પાણીથી હોળી રમવાનું ટાળવું, 17 મિનિટ સુધી રહેશે પૂર્ણ ખગ્રાસની સ્થિતિ
વડોદરા: આ વર્ષે હોળીનો તહેવાર ભક્તિ અને ખગોળીય ઘટનાઓના અનોખા સંગમ સાથે આવી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આશરે 500 વર્ષ બાદ હોળીના પર્વ પર ‘ખગ્રાસ ચંદ્રગ્રહણ’નો દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. આગામી 3 માર્ચના રોજ હોલિકા દહન અને 4 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. આ ગ્રહણ ખાસ કરીને અમુક રાશિઓ માટે ભાગ્યોદય સમાન સાબિત થશે.

જ્યોતિષી ગજરાજ શાસ્ત્રીજી ના જણાવ્યા અનુસાર, 2 માર્ચના રોજ સાંજથી ભદ્રાકાળ શરૂ થશે, જે 3 માર્ચના રોજ વહેલી સવારે 4:28 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે ભદ્રા પૃથ્વીલોક પર હોવા છતાં, પ્રદોષ કાળમાં હોલિકા પૂજન અને દહન શાસ્ત્રસંમત અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વડોદરાના દેવસ્થાનો સહિત વૃંદાવન, મથુરા અને ગોકુળમાં હોળીના પૂજનનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળશે.
4 માર્ચ ધૂળેટી ના દિવસે ચંદ્રગ્રહણ બપોરે 3:19 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:47 વાગ્યે પૂર્ણ થશે. આ દરમિયાન અંદાજે 17 મિનિટ સુધી ‘પૂર્ણ ખગ્રાસ’ની સ્થિતિ જળવાઈ રહેશે. ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જતો હોવાથી આ દરમિયાન પૂજા-પાઠ અને શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. જોકે, મંત્ર સાધના અને ગુરુ મંત્રના જાપ માટે આ સમય સર્વોત્તમ માનવામાં આવે છે.
ગ્રહણના પ્રભાવને ધ્યાનમાં રાખીને જ્યોતિષીઓએ સલાહ આપી છે કે આ વર્ષે પાણીવાળા રંગોથી હોળી રમવાનું ટાળવું જોઈએ. માત્ર સૂકા રંગો અથવા ગુલાલથી હોળી રમવી હિતાવહ છે. શાસ્ત્રીય નિયમો અનુસાર સાવચેતી સાથે હોળી રમવાથી પર્વની આસ્થા જળવાઈ રહે છે અને કોઈ ગ્રહણ દોષ લાગતો નથી.
4 રાશિઓ માટે ‘સુવર્ણકાળ’: નસીબના ખુલી જશે દરવાજા…
આ ચંદ્રગ્રહણ નીચેની રાશિઓ માટે અત્યંત શુભ ફળદાયી રહેશે:
*વૃષભ રાશિ: અટકેલા કાર્યો પૂર્ણ થશે અને રોકાણમાંથી મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે. નોકરીમાં પ્રમોશનના યોગ.
*મિથુન રાશિ: કરિયરમાં મોટું પરિવર્તન આવશે. કાર્યસ્થળ પર માન-સન્માન વધશે અને વેપારીઓ માટે આ સમય નફાકારક રહેશે.
*મકર રાશિ: ધનલાભ સાથે સ્થિરતા મળશે. સરકારી કે વહીવટી ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
*મીન રાશિ: આત્મવિશ્વાસમાં વધારો થશે અને પારિવારિક જીવન સુખદ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.