Vadodara

15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે :

સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર :

વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો સમીક્ષા બાદ વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

ગુજરાત સરકારે રાજ્યના સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના GSR 29(E) નિયમો મુજબ રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી મારફતે જ કરવામાં આવશે.

ગુજરાત સરકારે જણાવ્યું છે કે, અનેક વિભાગોમાં એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે. જેઓ નક્કી કરેલી સમયમર્યાદા અને કિલોમીટર મર્યાદા પાર કરી ચૂક્યા છે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે અને તેમની કાર્યક્ષમતા પણ ઓછી રહે છે. તેથી હવે તમામ વિભાગોને વાહનોના નિકાલ માટે એકસરખી પ્રક્રિયા અપનાવવા સૂચના આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ સરકારી વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો તેની સમીક્ષા કરવામાં આવશે. જો વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે. તે સિવાય 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાના રહેશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા વાહનોનો નિકાલ માત્ર રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ વ્હીકલ ફેસિલિટી મારફતે જ થશે. વાહનને કન્ડેમ જાહેર કર્યા બાદ તેની નોંધ સંબંધિત આરટીઓ એઆરટીઓ કચેરીમાં કરવામાં આવશે અને પછી સ્ક્રેપિંગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરાશે. વાહનના નિકાલ માટે તેની નિલામી કિંમત નક્કી કરતી વખતે મૂળ ખરીદી કિંમતમાંથી અંદાજે 4 ટકા દર વર્ષે ઘટાડીને મૂલ્યાંકન કરવામાં આવશે. જો વાહનની મૂળ કિંમતની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમાન મોડલના વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશે. સ્ક્રેપિંગ પ્રક્રિયા એમએસસીટીસી અને GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ટેન્ડર અથવા હરાજી દ્વારા કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેનારા બિડર્સમાંથી સર્વોચ્ચ બોલી આપનારને વાહન સ્ક્રેપ માટે આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે જિલ્લાકક્ષાએ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, આરટીઓ પ્રતિનિધિ અને સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ વાહનની સ્થિતિ, ઉપયોગિતા અને તેની નિલામી કિંમત અંગે અંતિમ નિર્ણય કરશે.
સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે :

આ નિયમો જીએસઆરટીસીના વાહનો, ગૃહ ખાતાના વાહનો, પોલીસ વિભાગના વાહનો તેમજ માર્ગ અને મકાન વિભાગના વાહનો સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોને લાગુ પડશે. નવી માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ આગામી સમયમાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં જૂના સરકારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે, જેના કારણે સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે.

Most Popular

To Top