ઘોઘંબાથી નોકરીએ જતાં 45 વર્ષીય પુરુષનું કરુણ મોત
હાલોલ:
પંચમહાલ જિલ્લામાં હાલોલ શહેર નજીક પાવાગઢ બાયપાસ રોડ પર ગતરોજ સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, ઘોઘંબાના વાવ ગામના મંદિર ફળીયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ અમરસિંહ બારિયા (ઉંમર 45 વર્ષ) ગતરોજ સાંજે પોતાની નોકરી પર જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. તેઓ આસોજ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતા.

સાંજે અંદાજે 7 વાગ્યાના સમયે વિરાસત વન અને જેપુરા ચોકડી નજીક તેમની બાઈક અચાનક સ્લીપ ખાઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માત દરમિયાન તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયમાં હાલોલ અને આસપાસના વિસ્તારોમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જે રોડ સલામતી અંગે ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ.