વાવાઝોડા દરમિયાન બાવળના ઝાડમાંથી ઉડેલી કુવેચથી લોકોમાં ખંજવાળ
લાઈટ જતાં અંધકારમાં દોડાદોડી, તંત્રની બેદરકારી પર સવાલ
વડોદરા: શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલા સીએનજી પંપ સામે વાવાઝોડા દરમિયાન કુવેચ ઉડતાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રોડ કિનારે ઉગેલા દેશી બાવળના ઝાડમાં રહેલી કુવેચ પવનના ઝોકાથી ઉડી રહીશોના શરીરે ચોંટી જતા લોકોને ભારે ખંજવાળની સમસ્યા ઉભી થઈ હતી.
માહિતી મુજબ, સાંજના સમયે આવેલા તેજ પવન દરમિયાન આ ઘટના બની હતી. કુવેચના સંપર્કમાં આવતા લોકો અચાનક ખંજવાળ અનુભવતા ગભરાઈ ગયા હતા અને સ્થળ પર દોડાદોડી મચી ગઈ હતી. કેટલાક લોકો કપડાં ઉતારી ખંજવાળથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થતાં અંધકાર ફેલાયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી હતી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રોડ કિનારે ઉગેલા બાવળ અને કુવેચને સમયસર દૂર કરવામાં ન આવતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.