18 જાન્યુઆરી, 2024નો એ ગોઝારો દિવસ જેને વડોદરાવાસીઓ જ નહીં પણ આખો દેશ ક્યારેય નહી ભુલે..કારણ કે કોન્ટ્રાક્ટરની અને વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીએ 15 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોનો ભોગ લીધો હતો..આ ઘટનાના પગલે 19 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

વડોદરા હરણી બોટકાંડની ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છતાં સરકાર દ્વારા દોષિતો સામે આજ દિન સુધી કોઈ પગલા નહીં ભરાતાં અને મૃતકોના પરિવારોને પણ કોઈ વળતર નહીં ચૂકવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજ દિન સુધી પીડિતોને કોઈ ન્યાય મળ્યો નથી. હાઇકોર્ટે કલેકટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરી કાર્યવાહી કરવી અને વળતર નક્કી કરવું. કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી. અને તેનાથી આજદિન સુધી ભોગ બનનારા બાળકોને કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ કોઇ વળતર આપ્યું નથી.
સમગ્ર આ ઘટનાને પગલે મુખ્યમંત્રી તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. જે તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈ ગુનેગારોને છોડવામાં નહીં આવે. તે સમયે 15 દિવસમાં કલેકટરને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. આ અંગે જે-તે સમયે કલેક્ટરે જવાબ આપવામાં મોડું કર્યું હતું. આ ઘટના બની અને જે-તે સમયે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તે સમયે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હતા. રાજકીય વગ ધરાવતા કોટયાર્ક કંપનીના ડાયરેકટર પરેશ શાહને માત્ર 3 લાખ રુપિયા જેટલી નજીવી રકમનો 30 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપ્યો હતો. જે રકમથી શું આ પ્રોજેક્ટનું મેન્ટેન્સ પણ ન થઈ શકે?


હરણી બોટકાંડમાં ભોગ બનનાર બાળકોના માતા-પિતા અને પરિવારજનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.પીડિતો કહી રહ્યા છે કે હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ હજી સુધી આ દોષિતોને કોઈ નથી સજા થઈ કે પરિવારોને કોઈપણ જાતનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. માત્ર અને માત્ર સરકારો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો અને વહીવટદારોને છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં કેટલાક પરિવારો પોતાના બાળકોને ગુમાવ્યા બાદ પણ તેઓના આંસુ સુકાયા નથી.