આણંદમાં મોડેલ અને ઇનફલ્યુન્સર તરીકે કામ કરતી યુવતીએ ચાર વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કર્યાં હતાં
બોરિયાવી પાલિકાના કારોબારી ચેરમેનના પત્નીએ નહેરમાં કુદી આપઘાત કર્યો

આણંદ.
આણંદની બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના પત્ની અને મોડલીંગ અને ઇનફલ્યુન્સ તરીકે કામ કરતી 26 વર્ષિય યુવતીએ ગુરૂવારની મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર નહેરમાં પડી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓએ શોધખોળ હાથ ધરતાં યુવતીનો મૃતદેહ કણજરીના બેચરપુરા પાસે મળ્યો હતો. આ અંગે વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે.

આણંદ શહેરના સો ફુટના રોડ પર આવેલા અક્ષર બંગ્લોઝમાં રહેતા હિરેનભાઈ નંદલાલ સુથારની પુત્રી રિદ્ધીબહેનને ચાર વર્ષ પહેલા બોરિયાવીમાં રહેતા રૂષીન અશોકભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવનમાં દોઢેક વર્ષ પહેલા તેમને પુત્રનો જન્મ પણ થયો હતો. આ ઉપરાંત તાજેતરમાં બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ટેડ પરથી રૂષીન પટેલનો વિજય થયો હતો અને તેમને બોરિયાવી પાલિકાના કારોબારી ચેરમેન પણ બનાવવામાં આવ્યાં હતાં. આમ, શાંતિથી ચાલતા આ દાંપત્ય જીવનમાં ગુરૂવારની રોજ અચાનક જ વળાંક આવ્યો હતો. રિદ્ધીબહેન પટેલ (ઉ.વ.26)એ મોડી રાત્રિના કોઇ અગમ્ય કારણોસર લાંભવેલ નહેરમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં અને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં કણજરી – બેજરપુરા કેનાલ પાસેથી રિદ્ધીનો મૃતદેહ મળ્યો હતો. આ અંગેની જાણ થતાં વડતાલ પોલીસ સ્તળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ અંગે પ્રાથમિક તપાસના અંતે વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિદ્ધીબહેન મોડલીંગ અને ઇનફલ્યુન્સ તરીકે કામ કરતાં હતાં અને હજારો ફોલોઅર્સ હતાં. રિદ્ધીબહેનના આપઘાતના પગલે બોરિયાવી ગામમાં પણ ચકચાર મચી ગઈ છે. જ્યારે પોલીસે આપઘાતનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.
