રવિવારે ઋણમુક્તેશ્વર મહાદેવથી ભવ્ય ‘શિવજી કી સવારી’ પ્રસ્થાન કરશે; હિન્દુ-મુસ્લિમ કારીગરોએ રથને આખરી ઓપ આપ્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.11
સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે પણ ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળશે. આગામી રવિવારે પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી પરંપરાગત ‘શિવજી કી સવારી’ ધામધૂમપૂર્વક નીકળશે, જેની તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે. તા. 12 ફેબ્રુઆરી 2026, ગુરુવારના રોજ રાત્રે 8:00 કલાકે સૂરસાગર સરોવર પાસે આવેલી મ્યુઝિક કોલેજ (ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ) સામે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ખ્યાતનામ કલાકાર ઓસમાન મીર પોતાના કંઠે ભક્તિરસની હેલી રેલાવશે અને શિવભક્તોને મંત્રમુગ્ધ કરશે. કૃતિ અને ઇતિહાસની ઝાંખી :- તસવીર પ્રદર્શન, તા. 12, 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન કીર્તિમંદિર સ્થિત ‘અભિવ્યક્તિ આર્ટ ગેલેરી’ ખાતે એક વિશેષ ફોટોગ્રાફ પ્રદર્શન યોજાશે.
- સમય :- સવારે 10 થી સાંજે 6 કલાક.
- વિષય :- સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સ્થાપનાના સ્વપ્નથી લઈ સિદ્ધિ સુધીની ઐતિહાસિક સફર.
- આકર્ષણ :- નગરજનોને શિવજી કી સવારી અને સર્વેશ્વર મહાદેવના દુર્લભ ફોટોગ્રાફ્સ નિહાળવા મળશે.