Vadodara

સાવલીના પોઇચા પાસે મહી નદીમાં રૂા. ૪૨૯.૭૬ કરોડના ખર્ચે બનશે વિશાળ વિયર



મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૧૯ના રોજ આ વિયર યોજનાનું કરશે ખાતમુહૂર્ત

વિયર બનતા સાવલી તાલુકાના ૩૪ ગામો અને ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને પીવા અને સિંચાઇના પાણીનો લાભ

દેશના ખૂણે-ખૂણે પાણીની સરળ અને પૂરતી ઉપલબ્ધિને પોતાનું લક્ષ્ય બનાવીને એ દિશામાં સતત કાર્યરત એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પાણીની લગતી અનેકાનેક યોજનાઓને સાકાર કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતની પ્રજાને હંમેશા પૂરતું પાણી મળે તેની ખાતરી આપી રહ્યાં છે. આ જ દિશામાં ગુજરાત સરકારનું વધુ એક મક્કમ પગલું એટલે રૂા. ૪૨૯.૭૬ કરોડના ખર્ચે સાવલી તાલુકાના પોઈચા ગામ પાસે મહી નદી પર આ વિશાળ વિયરનું થશે નિર્માણ !

મહી નદી પર આ અગાઉ બાંધવામાં આવેલાં અન્ય ડેમ અને વિયરની વાત કરીએ તો, અહીં કડાણા ડેમ, દોલતપુરા વિયર, વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલના વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરની વચ્ચે પોઈચા કનોડા વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિયરનું નિર્માણ થતાં સાવલી તાલુકાના ૩૪ ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને લાભ મળશે. સાવલી નગર તેમજ આજુબાજુના ૪૦ જેટલા ગામોની આશરે ૭૭૦૦૦ જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધિ વધુ સુગમ બનશે. આ વિયરના ઉપરવાસમાં આશરે ૧૫ કિલોમિટર. સુધી પાણી ભરાઈ શકશે અને નદીની બન્ને બાજુ ૪ કી.મી. થી વધુ પહોળાઇમાં ભૂગર્ભ જળનું સિંચન થઈ શકશે.


એટલું જ નહિ, આ વિયરથી ૪૯ જેટલાં ગામોના આશરે ૪૯૦થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે. એકંદરે આ વિયરના કારણેભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવશે અને તેની ગુણવત્તામાં પણ સુધાર થશે. જેનાથી આજુબાજુના વિસ્તારને પણ સીધી અને આડકતરી રીતે સિંચાઇનો લાભ મળશે. ખેડૂતોના હિતમાં સતત કામ કરતી ગુજરાત સરકારની આ યોજના થકી સાવલી અને તેની આસપાસના વિસ્તારમાં ખેતીમાં પાણીની સુવિધા મળતા ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે.


કૃષિની સાથે સાથે સાવલી એ ઔદ્યોગિક એકમોથી પણ ધમધમતું કેન્દ્ર છે. મહી નદી પર આ વિયર બનવાથી સાવલી અને તેની આસપાસના ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે જેના થકી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

આ ઉપરાંત, આ વિયર થકી ૯૦ લાખ ચોરસમીટરમાં રચાનારા જળસરોવરને પરિણામે મત્સ્યઉદ્યોગ તથા પશુપાલનનો પણ વિકાસ થશે અને વધુને વધુ લોકોને રોજગારી મળશે. ખેડૂતો, ઉદ્યોગકારો, પશુપાલકો, માછીમારો અને તમામ જનસામાન્ય માટે મહી નદી પર નિર્માણ પામનાર આ વિયર ખરેખર પ્રગતિનું પ્રમાણ બની રહેશે.

૦૦૦૦

Most Popular

To Top