જંગલી બાવળ અને ઝાડ-ઝાંખરાની સફાઈ માટે ટેન્ડર મંગાવાયા
શહેરના મુખ્ય પાણી સ્ત્રોત તરીકે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરની ભૂમિકા મહત્વની છે. આ સરોવરોમાં જંગલી બાવળ અને અન્ય ઝાડ-ઝાંખરાઓ ઊગી નીકળ્યા છે, જેની સફાઈ માટે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી માટે ઈચ્છુક એજન્સીઓ પાસેથી સીલબંધ કવરમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ કામગીરીની બેઝ કિંમત રૂ. 2 લાખ નક્કી કરવામાં આવી છે, અને તેનાથી સંબંધિત તમામ ખર્ચ એજન્સીએ જ ઉઠાવવાનો રહેશે. ઈચ્છુકોએ તા. 17 સુધીમાં ખંડેરાવ માર્કેટની બિલ્ડીંગ શાખા, રાજમહેલ રોડ ખાતે અરજી કરવાની રહેશે.
તળાવો અને સરોવરોમાં વધુ પાણી સંગ્રહ ક્ષમતા વિકસાવવા માટે માટી ખોદાણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી માટે પણ ઈચ્છુક અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. તમામ ખર્ચ અરજદારે જ કરવો પડશે, અને તેઓએ મશીનરી તથા વાહનોની સંખ્યા સ્પષ્ટ રીતે જણાવવી પડશે. શહેરના ઉપરવાસમાં આવેલા દેના તળાવમાં પણ માટી ખોદાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. ઇચ્છુકોને આ કામગીરી માટે પણ તમામ ખર્ચ ઉઠાવવા પડશે અને ખોદાણ દરમિયાન નિકળતી માટીની સરકારના નિયમ મુજબ રોયલ્ટી ચૂકવવી ફરજિયાત રહેશે. આ માટે અરજદારે તા. 17 સુધીમાં ખંડેરાવ માર્કેટ ખાતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરનો સંપર્ક કરવાનો રહેશે.
