11મી સુધી ઉમેદવારીના શ્રીગણેશ, બદલી-રજાઓ પર પ્રતિબંધ સાથે ચૂંટણી પંચ એક્શન મોડમાં
વડોદરા: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરાતની સાથે જ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થતા જ આજથી રાજ્યભરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, ઉમેદવારો આગામી 11મી તારીખ સુધી પોતાના નામાંકન પત્રો ભરી શકશે. ત્યારબાદ 13મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગતા હોય તો તેઓ 15મી તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે. રાજ્યભરમાં 26મી તારીખે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને 28મી તારીખે મતગણતરી સાથે પરિણામો જાહેર કરવામાં આવશે.
ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કર્મચારીઓની બદલી અને રજાઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની નવી ગ્રાન્ટ કે વિવેકાધીન ફંડના વપરાશ પર પણ પ્રતિબંધ મુકાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષોએ હવે પોતપોતાના ઉમેદવારોની પસંદગી અને પ્રચાર માટેની વ્યૂહરચના તેજ બનાવી દીધી છે.
:- ચૂંટણી એક નજરે: મહત્વની તારીખો
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજનો જંગ જામશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મુખ્ય વિગતો નીચે મુજબ છે:
નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 11મી
ફોર્મની ચકાસણી: 13મી
ફોર્મ પરત ખેંચવાની મુદત: 15મી
મતદાનનો દિવસ: 26મી (સવારે 7 થી સાંજ 6)
પરિણામની તારીખ: 28મી
રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 11 જિલ્લા પંચાયત, 82 તાલુકા પંચાયત અને 27 નગરપાલિકાઓ માટે રસાકસીભરો જંગ ખેલાશે!