Vadodara

શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય,NCERT ડીમ્ડ યુનિવર્સિટી ગણાશે અને ડિગ્રી પણ આપશે

એનસીઈઆરટીને યુનિવર્સિટીની જેમ કામ કરવાની સ્વતંત્રતા મળશે

સંસ્થા પોતાની સંપત્તિ અથવા ફંડ સરકાર અને યુજીસીની પરવાનગી વિના ટ્રાન્સફર ન કરી શકે

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીની સલાહ પર કેન્દ્ર સરકારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. આનાથી હવે એનસીઈઆરટીને યુનિવર્સિટીની જેમ કામ કરવાની સ્વતંત્રતા મળશે, પરંતુ તેની સાથે ઘણી જરૂરી શરતો પણ લાગુ કરવામાં આવી છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે 2025માં તમામ શરતો પૂરી કરવાનો રિપોર્ટ સરકારને આપ્યો હતો. ત્યારબાદ યુજીસીની નિષ્ણાત સમિતિએ આ અહેવાલની સમીક્ષા કરી અને તેને યોગ્ય માન્યું હતું. યુજીસી આયોગે જાન્યુઆરી 2026માં પોતાની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે તેને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. એનસીઈઆરટીએ યુજીસી એક્ટ, 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી બનવા માટે અરજી કરી હતી. આ અરજી યુજીસી પોર્ટલ પર ઓનલાઇન અપલોડ કરવામાં આવી હતી. યુજીસીએ અરજીની સમીક્ષા કરી અને 2023માં કેટલીક શરતો સાથે લેટર ઓફ ઈન્ટેન્ટ જારી કર્યો હતો. તેમાં એનસીઈઆરટીને ત્રણ વર્ષની અંદર તમામ શરતોને પૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવમાં આ એનસીઈઆરટીની 6 પ્રમુખ સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે. જેમાં અજમેર રાજસ્થાન, ભોપાલ મધ્યપ્રદેશ, ભુવનેશ્વર ઓડિશા, મૈસુર કર્ણાટક, શિલોંગ મેઘાલય અને ભોપાલની પંડિત સુંદરલાલ શર્મા ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન સામેલ છે. આ સંસ્થાઓને ભેગી કરીને એનસીઈઆરટીને એક સ્પેશિયલ કેટેગરી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સરકારે એનસીઈઆરટીને આ દરજ્જો કેટલીક કડક શરતો સાથે આપ્યો છે. સંસ્થા પોતાની સંપત્તિ અથવા ફંડ સરકાર અને યુજીસીની પરવાનગી વિના ટ્રાન્સફર ન કરી શકે. આ સાથે જ તે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિમાં સામેલ નહીં થશે.

અભ્યાસ અને કોર્સ સબંધિત નિયમ,રિસર્ચ અને ગુણવત્તા પર ભાર :

એનસીઈઆરટીએ પોતાના તમામ કોર્સ યુજીસી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના નિયમો પ્રમાણે જ ચલાવવા પડશે. નવા કોર્સ,ઓફ-કેમ્પસ સેન્ટર અથવા વિદેશી કેમ્પસ પણ નક્કી કરેલા નિયમો હેઠળ જ શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓના એડમિશન, સીટ સંખ્યા અને ફી સંબંધિત તમામ નિયમોનું પણ પાલન કરવું આવશ્યક રહેશે, એનસીઈઆરટીએ રિસર્ચ, પીએચડી અને નવા શૈક્ષણિક કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું પડશે. આ સાથે જ તેણે નેક અને એનબીએ જેવી સંસ્થાઓ પાસેથી માન્યતા લેવી પડશે. આ ઉપરાંત સંસ્થાએ દર વર્ષે એનઆઈઆરએફ રેન્કિંગમાં પણ ભાગ લેવું ફરજિયાત છે. જેથી ગુણવત્તા અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરી શકાય.

Most Popular

To Top