( પ્રતિનિધી )વડોદરા,તા.28
પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો અને તેનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. જો કે આ પરિપત્રનો વિરોધ થઇ રહ્યો હતો. શિક્ષકોના બંને સંગઠનોએ આ નિર્ણયની ટીકા કરી હતી. આખરે આ નિર્ણય રદ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડી હતી. કારણ કે અનેક યુવકો સરકારી નોકરીની શોધમાં છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી મળતી નથી ત્યારે નિવૃત થઈ ચૂકેલા શિક્ષકોને જરુર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી હતી. નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કરી ભરતીના નિયમોમાં જરુર પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી મળી હતી. શાળા સંચાલક મંડળે સરકાર સામે નારાજગી દર્શાવી હતી. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી હતી કે નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી.