Vadodara

શાળાઓને ધો.10ના આંતરિક ગુણ અપલોડ કરવા શિક્ષણ બોર્ડનો આદેશ

સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના ગુણ ભરવા માટે 21 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો :

સમયમર્યાદામાં ગુણ અપલોડ કરવામાં નિષ્ફળ જશે,તો શાળા સામે કડક કાર્યવાહી થઈ શકે છે. :

( પ્રતિનિધિ )વડોદરા,તા.6

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર ધોરણ 10ની પરીક્ષાઓને લઈને મહત્ત્વની સૂચના આપવામાં આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને શાળા કક્ષાના વિષયોના ગુણ ઓનલાઇન પોર્ટલ પર ભરવાની પ્રક્રિયા શરુ કરવાની સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના ગુણ ભરવા માટે 5 ફેબ્રુઆરી 2026 થી 21 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. શાળાઓએ આ સમયગાળા દરમિયાન બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની રહેશે. જો કોઈ શાળા આ સમયમર્યાદામાં ગુણ અપલોડ કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. લોગ-ઇન પ્રક્રિયામાં શાળાઓએ પોતાના ઇન્ડેક્ષ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ-ઇન કરવાનું રહેશે. પરીક્ષાર્થીની વિગતોમાં દરેક વિદ્યાર્થીના ગુણ તેમના નામ અને ઍપ્લિકેશન નંબરના આધારે સચોટ રીતે ભરવાના રહેશે. વોકેશનલ વિષયોમાં જે શાળાઓમાં સેક્ટર સ્કીલ કાઉન્સીલ એસએસસીના વોકેશનલ વિષયો ચાલે છે, તેવી શાળાઓએ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણ પણ ઓનલાઇન ભરવાના રહેશે. આ માટે શાળાએ કાઉન્સીલના પ્રતિનિધિ પાસેથી મેળવેલા ગુણની એન્ટ્રી કરવાની રહેશે.

મૂંઝવણ માટે બોર્ડનો સંપર્ક કરવા સૂચના

જો ગુણ ભરવાની પ્રક્રિયામાં કોઈપણ શાળાને ટેકનિકલ સમસ્યા કે અન્ય મૂંઝવણ જણાય, તો તેઓ ગાંધીનગર ખાતે આવેલી બોર્ડની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી પુરાવાઓ સાથે સંપર્ક કરી શકશે. આ આંતરિક ગુણો વિદ્યાર્થીના ફાઇનલ રિઝલ્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેથી શાળાઓને પૂરી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે.

Most Popular

To Top