ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહનું સ્મારક તૂટેલી હાલતમાં છે તો ભગતસિંહની પ્રતિમા ઉપર લીલો રંગ પણ ચડી ગયો હોવાનું સામે આવ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા.21
વડોદરાના સમૃદ્ધ અને ભવ્ય ઐતિહાસિક વારસાની જાળવણી કરવામાં મહાનગરપાલિકા તેમજ પુરાતત્વ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહનું સ્મારક તૂટેલી હાલતમાં છે તો ભગતસિંહની પ્રતિમા ઉપર લીલો રંગ પણ ચડી ગયો હોવાનું સામે આવ્યું છે.

પાલિકાની શહેરના સ્મારકો અને ઐતિહાસિક વારસાને જાળવણી કરવામાં ગંભીર બેદરકારી સામે અવારનવાર આવે છે ત્યારે ઐતિહાસિક માંડવીની ઇમારતને હજી પાલિકા સુધારી નથી શકી અને ન્યાયમંદિર વિસ્તારમાં આવેલ શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ સાથેનું સ્મારક ખસ્તા હાલતમાં જોવા મળ્યું છે. વર્ષ 1979 માં તત્કાલીન મેયરના હસ્તે આ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આટલા વર્ષો બાદ પાલિકાના સતાધીશો દ્વારા આ સ્મારકની જાળવણી કરવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. સ્મારકમાં ઠેર ઠેર તિરાડો પડેલી જોવા મળી રહી છે તો શહીદ વીર ભગતસિંહ ની પ્રતિમા માં પણ મૂળ રંગ ની જગ્યાએ લીલો રંગ દેખાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના વિરોધ પક્ષના નગર સેવકે પર આ બાબતે પોતાનો વિરોધ નોંધાવીને પાલિકાની કામગીરીની ટીકા કરી છે શહેરના ઐતિહાસિક વારસાને જાળવવામાં પુરાતત્વ વિભાગ પણ પાછું પડ્યું છે તો પાલિકાના સત્તાધિશો પણ ઉના ઉતર્યા છે. સર સયાજીરાવ ગાયકવાડની નગરી એવા વડોદરામાં અનેક સ્મારકો અને ઐતિહાસિક ધરોહર ધરબાયેલી છે ત્યારે આ ધરોહરની કાળજી લેવામાં આવે એ હવે આવશ્યક બન્યું છે..