કચેરીના સમયમાં ફેરફાર: હવે રવિવારે પણ બપોરે 2:00 વાગ્યા સુધી અને 31 માર્ચના રોજ રાત્રે 9:30 સુધી નાણાં સ્વીકારાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે અમલમાં મૂકવામાં આવેલી ‘પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના’નો લાભ વધુમાં વધુ કરદાતાઓ લઈ શકે તે હેતુથી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના આગામી 31 માર્ચ, 2026 સુધી ચાલુ રાખવાની સાથે સાથે વોર્ડ કચેરીઓમાં નાણાં સ્વીકારવાના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને છેલ્લી તારીખે એટલે કે 31 માર્ચના રોજ રાત્રે 9:30 વાગ્યા સુધી નાગરિકો પોતાનો વેરો ભરી શકશે.
મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી વોર્ડ કચેરીઓમાં નાણાં સ્વીકારવાનો સમય સવારે 9:30 થી સાંજે 4:00 વાગ્યા સુધીનો હતો, જેમાં હવે ફેરફાર કરીને સાંજે 5:00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રવિવારના દિવસે પણ નાગરિકોની સુવિધા માટે સવારે 9:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે. 31 માર્ચના રોજ જાહેર રજા હોવા છતાં, બાકીદારોને તક આપવા માટે રાત્રે 9:30 વાગ્યા સુધી કચેરીઓ કાર્યરત રહેશે.
વ્યાજ માફીની વિગતો આપતા તંત્રએ જણાવ્યું છે કે, વર્ષ 2003-04 પહેલાની જૂની ભાડા આકારણી પદ્ધતિ હેઠળની રહેણાંક અને બિન-રહેણાંક મિલકતોના વ્યાજ પર 100 ટકા રિબેટ આપવામાં આવશે. જ્યારે વર્ષ 2003-04 થી 2024-25 સુધીની ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિમાં રહેણાંક મિલકતો માટે 80 ટકા અને બિન-રહેણાંક મિલકતો માટે 60 ટકા પાછલા વર્ષના બાકી વ્યાજ પર રિબેટ મળવાપાત્ર રહેશે. આ સાથે જ વોરંટ ફી અને પેનલ્ટીમાં પણ 100 ટકા રાહત જાહેર કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે કરદાતાઓ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન પણ વેરો ભરી શકશે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, મિલકતદારો આ વ્યાજ માફી યોજનાનો મહત્તમ લાભ ઉઠાવે અને સમયસર પોતાના વેરાની ચુકવણી કરે. વધુ માહિતી માટે સંબંધિત વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગનો સંપર્ક સાધવા જણાવાયું છે.