Vadodara

વિશ્વામિત્રી – વડોદરા બચાવો સમિતિ કરશે નદીની સફાઈ


પ્રતિનિધિ વડોદરા તા.11
ગત ઓગસ્ટ મહિનામાં 26-27-28 તારીખે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે પૂર આવ્યું અને સમગ્ર શહેર જળબંબાકાર થયું હતું. શહેરના નાગરિકોનો જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે હવે વિશ્વામિત્રી – વડોદરા બચાવો સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરીને અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને સાફ કરવાની ઝુંબેશ ઉપાડી હોવાની માહિતી આપી હતી.
એડવોકેટ નીરજ જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવેલું પુર એ માનવસર્જિત હતું કેમ કે વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે નદીના તટ પર દબાણ વધી ગયા છે, તે કારણે જ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને વડોદરા શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની બોગસ કામગીરી કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદી ની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા જિલ્લા કલેકટરની હોય છે પરંતુ આ બંને જવાબદાર વ્યક્તિ કામગીરીમાં નિષ્ફળ નિવડ્યા છે. જેથી હવે શહેરના નાગરિકો સાથે મળીને વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવશે. જે માટે ઘણા બધા નાગરિકો આગળ આવીને વિશ્વામિત્રી – વડોદરા બચાવો સમિતિને મદદ કરી રહ્યા છે. સમિતિ દ્વારા પ્રથમ તો વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લા કલેકટર પાસેથી વિશ્વામિત્રી નદીની સાફ-સફાઈ માટે પરવાનગી માગશે સાથે જ આ બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવશે. અને વડોદરા શહેરના જાગૃત નાગરિક તરીકે અમે વિશ્વામિત્રી નદીની સફાઈ કરીએ તેમાં કંઈ જ ખોટું નથી. વિશ્વામિત્રી નદી ની સફાઈ કરવાથી એટલો ફાયદો તો થશે તે વિશ્વામિત્રી નદી માં જે ગંદકી છે તે દૂર થશે અને કારણે નદીના પાણીનું જે વહેણ અટકતું હોય તે પણ દૂર થશે.

Most Popular

To Top