અસરગ્રસ્ત લોકોને નજીકની શાળામાં ખસેડાયા*
વડોદરા: ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 22 ફૂટે પહોંચતાની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતાં 37 જેટલા કાચા પાકા મકાનોમાં નદીના પાણી ફરી વળ્યા છે.
તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા છે.અહી ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા છે જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
લોકોની ઘરવખરીને નુકસાન સાથે સાથે મગર અને સરિસૃપ જીવોનો ખતરો પણ વધ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ પ્રાથમિક શાળા, કારેલીબાગ ખાતે આશરે 45 થી વધુ લોકોને શાળામાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં લોકો માટે એનજીઓ તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.