Bharuch

વાગરાના બજારમાં આવેલ ઓમ જવેલર્સમાં લૂંટનો બનાવ, સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ અપાયો

ભરૂચ, તા.19
વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનમાં સોમવારે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા ઇસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી લૂંટારું ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.


સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સોમવાર, તા.19ના રોજ બપોરના લગભગ 1:13 વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઇસમ આવ્યો હતો. જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો. અંદાજીત 4.5 લાખનો મુદ્દામાલ લૂંટારું ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ મથકના P.I એસ.ડી ફુલતરિયા સહિત ભરૂચ LCB, જંબુસર ડિવિઝનના DYSP સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. અને સ્થળ તપાસ કરી લૂંટારુંને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે છે. જેમાં જણાય આવે છે , કે એક બ્લ્યુ શર્ટ, લાલ કેપ, અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલ એક ઇસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે. અને સોનાના દાગીના જોવા લાગે છે. ત્યાર બાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે. ત્યાર બાદ ખિસ્સામાંથી મરચાની ભૂકી કાઢે છે. અને સોનીના મોઢા ઉપર મરચા પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે. જોકે સોની પર તરતજ તેની પાછળ ડોટ મૂકે છે. પરંતુ ત્યા સુધી તો તે અજાણ્યો ઇસમ રફુચક્કર થઈ જાય છે.


સોનીની આંખોમાં બળતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે. લૂંટારું પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોઈ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે જે લૂંટારું ઇસમ સોનીની દુકાનના CCTV માં નજરે પડે છે. તેવોજ પહેરવેશ ધારણ કરેલ એક ઇસમ જુમ્મા મસ્જિદના CCTV કેમેરામાં પણ નજરે પડે છે.
જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહી છે. ઘટનાની જાણ થતાંજ જંબુસર ડિવિઝનના DYSP પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. લૂંટારુંને ઝડપી પડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે. વાગરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવયો છે. કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે. કે સતત લોકોની અવરજવરથી ધમધમટા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે છે….

Most Popular

To Top