રેલવેના અધિકારીઓ નામાંકિત જ્વેલર્સ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ :
ગાંધીનગર સીબીઆઇ અને એસીબીને તપાસ સોંપવામાં આવી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.19
રેલવેમાં થયેલા મોટા ભરતી કૌભાંડના તાર વડોદરાના જ્વેલર્સ સુધી પહોંચ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલા ધનરાજ જ્વેલર્સનું નામ સામે આવ્યું છે. રેલવે અધિકારી એસ.કે.તિવારીએ જ્વેલર્સ રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કર્યો હતો. વગર બિલે 400 ગ્રામ સોનુ ખરીદવાનું જણાવ્યું હતું. જ્વેલર્સ રાજેન્દ્ર લાડવાએ તૈયારી પણ બતાવી હતી. આખું કૌભાંડ આચરવા દરમ્યાન જ અધિકારીઓ ઝડપાઈ ગયા છે. જ્યારે બીજી તરફ ધનરાજ જ્વેલર્સનો રાજેન્દ્ર લાડલા ભૂગર્ભમાં ઊતરી ગયો છે. હાલ સમગ્ર કૌભાંડમાં ગાંધીનગર સીબીઆઇ અને એસીબીમાં રેલવેના ડીપીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય છે.

વડોદરા પશ્ચિમ રેલવેના ડીપીઓ ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વાસન પશ્ચિમ રેલવે મુંબઈના સીડીઓએમ સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર સંજય કુમાર તિવારી જેવો અગાઉ વડોદરા ખાતે ડેપ્યુટી ઓપરેશન્સ મેનેજર પશ્ચિમ રેલવે તરીકે નિયુક્તિ પામ્યા હતા. તેમજ સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ નીરજ સિંહા, મુકેશ મીણા સહિત ખાનગી વ્યક્તિ આણંદ ગુજરાત અને પશ્ચિમ રેલવે વડોદરાના અન્ય અધિકારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ તમામ અધિકારીઓ જુદા જુદા લોકો પાસેથી મદદગારી મેળવીને ઉમેદવારો પાસેથી પૈસા વસૂલ કરી રેલવેની વિભાગીય પરીક્ષાઓમાં હાજર રહેનાર ઉમેદવારોને પાસ કરાવવાની ખાતરી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ડીપીઓ અંકુશ વાસને ,સીડીઓએમ સંજય તિવારીને પશ્ચિમ રેલવે દ્વારા યોજાનારી મર્યાદિત વિભાગ પરીક્ષામાં પસંદગી માટે રકમ આપવા તૈયાર હોય તેવા ઓછામાં ઓછા 10 જેટલા ઉમેદવારોની યાદી તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. જેમાં અંકુશ વાસને એસ.કે.તિવારીને મુકેશ મીણાનો સંપર્ક કરવા અને તેમની પાસેથી રકમ લેવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ સમગ્ર રચાયેલા આ કાવતરાને આગળ ધપાવી સંજય તિવારીએ મુકેશ મીણા સાથે રસ ધરાવતા ઉમેદવારો વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે પાંચ જેટલા ઉમેદવારો પાસેથી રકમ વસૂલી હતી અને એકત્રિત કરેલી રકમ નક્કી કર્યા મુજબ તેના દ્વારા સીધી એસ કે તિવારીને સોંપવામાં આવશે. તપાસ દરમિયાન મુકેશ મીણાએ જણાવ્યું છે કે તે આગામી સોમવારે આણંદમાં હશે. ત્યારબાદ તરત જ અંકુશ વાસન અને એસ કે તિવારી વચ્ચે ચર્ચા થઈ, જેમાં અંકુશ વાસને સોમવારે 17 ફેબ્રુઆરીના દિવસે જ્યારે મુકેશ મીણા આણંદ પહોંચ્યા ત્યારે તેની પાસેથી ગેરકાયદેસર રોકડ રકમ એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે 13 ફેબ્રુઆરીના રોજ નીરજ સિંહાએ સંજયકુમાર તિવારીને જાણ કરી હતી કે તેણે પસંદગી માટે રૂપિયા આપવા તૈયાર ચાર જેટલા ઉમેદવારો તૈયાર કરી લીધા છે. જોકે તેમાંથી માત્ર ત્રણ ઉમેદવારો પાસેથી જ નક્કી કરેલ રકમ લેવામાં આવી છે અને બાકીના ઉમેદવાર 14 ફેબ્રુઆરીના રોજ રકમ આપવાની ખાતરી આપવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીના રોજ મુકેશ મીણાએ એસ કે તિવારીને જાણ કરી હતી કે કેટલાક અન્ય વ્યક્તિઓ ઉમેદવારો અને તેમની પસંદગીમાં મદદ કરવાનું કહી રહ્યા છે. જેમાં તબીબી તપાસ સહિત પસંદગી માટેનો ચાર્જ લગભગ ચારથી પાંચ લાખ જેટલો હતો. તારીખ 17 ફેબ્રુઆરીના રોજ અંકુશ વાસન અને સંજય તિવારી વચ્ચે તેમના નિવાસ્થાને થયેલી બેઠક બાદ સંજય તિવારીએ રાજેન્દ્ર લાડલા ધનરાજ જ્વેલર્સ માલિકનો સંપર્ક કર્યો હતો. જેમાં સંજય તિવારીને પૂછ્યું હતું કે તેમના એક મિત્ર માટે કોઈ ઇન્વોઈસ જનરેટ કર્યા વિના રોકડના બદલામાં લગભગ 400 ગ્રામ જેટલું સોનું ખરીદવુ શક્ય બનશે. ત્યારે રાજેન્દ્ર લાડલાએ તેમને ખાતરી આપી હતી કે, આવા પ્રકારનો વ્યવહાર ખરેખર શક્ય બનશે. ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ સંજય તિવારી આણંદમાં મુકેશ મીણાની મુલાકાત લીધી હતી અને તેણે જે ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેની પસંદગી માટે છેતરપિંડી કરવા માટે રોકડ રકમ મેળવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ડીપીઓ અંકુશ વાસન સંજય કુમાર તિવારી નીરજસિન્હા મુકેશ મીણા, ખાનગી વ્યક્તિ અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ ગાંધીનગર સીબીઆઇ અને એસીબીને સોંપવામાં આવી છે.
