40 વર્ષથી રહેતા લોકોની રસ્તો ખોલી આપવા માંગ :
પતરા મારી ઝાડી ઝાંખરા નાખતા સાપ જેવા ઝેરી જીવ જંતુઓ નીકળતા રહીશોમાં ભયનો માહોલ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્થંભ સોસાયટીના લોકોની અવરજવર માટેનો રસ્તો એસઆરપી ગ્રુપ 1 દ્વારા બંધ કરી દેવાતા સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં એકત્ર થઈ રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં લોકોને સોસાયટીમાંથી આવા જવા માટેનો રસ્તો એસઆરપી ગ્રુપ 1 દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. આજરોજ સ્થાનિક રહીશોએ વિસ્તારના કોર્પોરેટર બાળું સુર્વેની આગેવાનીમાં એકત્ર થઈને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. સ્થાનિક રહિશોનું કહેવું છે કે છેલ્લા 30 વર્ષ ઉપરાંત થી અમે અહીંયા રહીએ છીએ આ રસ્તો પહેલા ખુલ્લો હતો અને છેલ્લા 20 દિવસ થી આ રસ્તો એસઆરપી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે નાના બાળકો સિનિયર સિટીઝનો મહિલાઓને ઘણી તકલીફો પડી રહી છે. રસ્તો બંધ કરી પતરા મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની ઉપર જાડી ઝાંખરા નાખવામાં આવ્યા છે. જેના કારણે સાપ સહિતના ઝેરી જીવજંતુઓ નીકળે છે. આ એક રસ્તો હતો કે જેના કારણે અમે નજીકમાં આવેલા શહેરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન અર્થે જઈ શકતા હતા. આજે અમારે પણ દોઢથી બે કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. આ અંગે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિક કોર્પોરેટર બાળુંભાઈ સુર્વેએ જણાવ્યું હતું.