Vadodara

વડોદરા : રાજમહેલ રોડ પર મોડીરાત્રે કાર ચાલકે કાબુ ગુમાવ્યો, કાશીવિશ્વનાથ મંદિર સામે કારની અડફેટે એકનું મોત

વડોદરાના લાલબાગ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરની સામે ફુટપાથ પર રહેલા ઝાડ સાથે શનિવારે મોડી રાતે કારનો અકસ્માત થતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા વ્યક્તિને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક અંકુર સંતોષ નિમ્બાલકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરામાં જીજે-27 પાસીંગની એક ભુરા કલરની કાર શનિવારે મોડી રાતે 11 વાગ્યાની આસપાસ લાલબાગ બ્રિજથી રાજમહેલ રોડ તરફ પુર ઝડપે જતી હતી. આ દરમિયાન લાલબાગ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે ફુટપાથ પર કાર ચઢી જઈને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારનો અકસ્માત થતા જ રાહદારીઓનું ટોળું ઉમટ્યું હતું.

આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી સ્થાનિક સુત્રો પાસેથી મળી હતી. જ્યારે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોચીને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાર જે સ્થળ પર અથડાઈ તે સ્થળ પર જ તાડપત્રી બાંધીને કેટલાક લોકો ફુટપાથ પર રહે છે. જે પૈકીના એક વ્યક્તિને કારે અડફેટે લીધો હતો. જેનું હોસ્પિટલમાં મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ આરંભી હતી.

Most Popular

To Top