Vadodara

વડોદરા : પૂર નિવારણ માટેની કમિટીની ટૂંકા ગાળામાં બીજી બેઠક મળી, દબાણો સહિત વિવિધ મુદ્દે ચર્ચા

વિશ્વામિત્રીમાં પાણી ધસી ના આવે તે માટે શું પગલાં ભરી શકાય તેની પ્રાથમિક માહિતી અધિકારીઓ પાસેથી એકત્ર કરાઈ :

વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરની પરિસ્થિતીના સર્જાય તે માટે સરકાર દ્વારા કમિટીની રચના કરાઈ છે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરા : શહેરનીમધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરનું સંકટ નિવારવા માટે સરકાર દ્વારા રચના કરવામાં આવેલી કમિટીની બુધવારે બપોરે પાલિકા કચેરીમાં બેઠક મળી હતી. ટુંકાગાળામાં આ બીજી બેઠક મળી છે. જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલા સહિત અન્ય એક્સપર્ટ મેમ્બર્સ અને પાલિકાના કમિશનર હાજર રહ્યા હતા. આ બીજી મીટિંગમાં પૂર નિવારવા માટેના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરની પરિસ્થિતી ના સર્જાય તે માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેનું નેતૃત્વ ભારત સરકારના પૂર્વ સચિવ અને અત્યંત અનુભવી નવલાવાલા કરી રહ્યા છે. કમિટીની રચના બાદ ટુંકા ગાળામાં બીજી વખત પાલિકાની કચેરીએ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પૂર નિવારવા અંગેના વિષય પર સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, આજે પાલિકાની કચેરીએ, વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું તેના નિવારણ માટે સરકારે જે કમિટી બનાવી છે. તેના અધ્યક્ષ નવલાવાલા અને મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ આવ્યા હતા. કમિટીના અન્ય મેમ્બરો અને આમંત્રિત મહેમાનો હતા.

કમિટીમાં વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તેની માટે શું પગલાં ભરી શકાય તેની પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક એન્જિનીયર્સ અને સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનીયર્સ સાથે આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, આજવા ડેમ, પ્રતાપપુરા ડેમનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું કઇ રીતે ઓછું કરી શકાય તેની માટેની ચર્ચા હતી. પૂર કેવી રીતે ઓછું આવે તે જોવાની જવાબદારી તેમની છે. દબાણની વાત તેમના ધ્યાને મુકવામાં આવી છે. અત્યારે કમિટીના અધ્યક્ષની હાજરીમાં વિશ્વામિત્રી નદીમાં પાણી કેવી રીતે ઓછું આવે તે અંગેની ચર્ચા કરવામાં આવી છે. અત્યારે કોઇ સુચન આપવામાં આવ્યું નથી, માત્ર ચર્ચા કરવામાં આવી છે. હજી સુધી કોઇ પગલાં ભરવા અંગે વાત થઇ નથી.

Most Popular

To Top