Vadodara

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના ગામોના લોકોને કરાયા સાવધ


*સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ૧,૪૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે*


ઉપરવાસમાં પડતા ભારે વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી શનિવારે સવારે સરદાર સરોવર બંધનાં ૧૦ દરવાજા ૧.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૧,૪૫,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના ગામોના લોકોને સાવધ કરી તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના નદી કિનારાના ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.
મહી નદી માં પણ એક લાખ ક્યુસેક પાણી છોડાશે

ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી મહી નદીમાં આજે બપોરે એક લાખ (૦૧ લાખ) કયુસેક પાણી છોડવામાં આવશે, આણંદ જિલ્લાના મહિ નદીના નીચાણ વાળા ગામો અને વિસ્તારોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

કડાણા જળાશયમાંથી મહી નદીમાં આજે બપોરે ૧૩-૦૦ કલાકે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે, તેમ પુર નિયંત્રણ એકમ, ફ્લડ સેલ, કડાણા ના ઇન્ચાર્જ અધિકારી દ્વારા જણાવાયું છે.


Most Popular

To Top