Vadodara

વડોદરા : એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય આગમનનું બોર્ડ લાગ્યું

વડોદરાને ઈન્ટરનેશનલ ફ્લાઇટ ટુંક સમયમાં મળે તેવી શક્યતાઓ

તાજેતરમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટના ક્લિયરન્સ માટેના સ્ટાફની ભરતી પણ કરાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરાના હવાઈ મથકને ઈન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે વડોદરાના સાંસદ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ દ્વારા સતત પ્રયત્નો અને રજુઆત કરવામાં આવી રહી છે. આ માંગણી હવે ફળિભૂત થવા જઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય આગમનનું પાટીયું ચઢ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેથી આવનાર ટુંક સમયમાં ફ્લાઇટ સેવા પણ શરૂ થઇ શકે છે.

વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય અને એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ કરવામાં આવે, તેવી જુની લોકમાંગ છે. વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તે માટે સાંસદ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ અથાગ મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ક્લિયરન્સની સ્ટાફની ભરતી કરવામાં આવી હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. આ વચ્ચે વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટુંક સમયમાં મળે તેવી શક્યતાઓ ઉજળી થતી જાય છે. તાજેતરમાં વડોદરાના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય આગમન માટેનું પાટીયું ચઢ્યું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી તસ્વીરમાં સામે આવ્યું છે. જેથી આગામી ટુંક સમયમાં વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેમ લાગી રહ્યું છે. વડોદરા સિવાય અમદાવાદ અને સુરતના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટીવીટી છે. જેથી ત્યાંથી મુસાફરો આસાનીથી વિદેશ પ્રવાસ કરી શકે છે. વડોદરા એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટીવીટી નહીં હોવાના કારણે મુસાફરોએ અમદાવાદ અથવા તો સુરત તરફ પ્રયાણ કરવું પડતું હોય છે. સંભવિત રીતે વડોદરાથી દુબઇ, સિંગાપોર અને મલેશિયાની ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે. એરપોર્ટમાં પાટીયું ચઢી જતા હવે ફ્લાઇટ ક્યારેે મળે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Most Popular

To Top