Vadodara

વડોદરામાં ફરી એક વખત છલકાયું અલકાપુરીનું ગરનાળુ



પ્રતિનિધિ વડોદરા તા. 14
ચોમાસામાં વરસાદ આવે ત્યારે વડોદરા શહેરનું અલકાપુરી ગરનાળુ છલકાય એ વર્ષો જૂની પરંપરા છે, અને આ સમસ્યા માટે લોકો ટેવાઈ પણ ગયા છે. પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો અલકાપુરી ગરનાળુ ભરાઈ જાય તો ચોક્કસ પણે વડોદરા મહાનગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થાય.
રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરનાળા પાસેની ગટરો ઉભરાઈ રહી છે, અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાયા છે. ગટરનું ગંદુ પાણી એટલી હદે ભરાયું છે કે ગરનાળામાંથી પસાર થતા લોકોને પૂર જેવી સ્થિતિનો આભાસ થાય છે. નાગરિકોની મજબૂરી છે કે તેઓને સમય પર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા આજ ગરનાળામાંથી પસાર થવું પડે છે ભલે તેમાં કેટલી પણ ગંદકી હોય.

ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા અધિકારીઓ અને શાસકોના નાક દબાવવા પક્કડ લઈને આવ્યા હતા. સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એસી કેબીનોમાં બિરાજમાન વડોદરા શહેરના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ને જો એસીને કારણે શરદી થઈ ગઈ હોય તો આ પકડતી તેનો ઈલાજ થઈ જશે. કારણ કે અલકાપુરી ગરનાળુ એ એવી જગ્યા છે કે જ્યાંથી દિવસ દરમિયાન તંત્રના શાસકો, અધિકારીઓ અને નગરસેવકો ઘણી વખત પસાર થાય છે તો શું તેમને આ ગરનાળામાં ઉભરાતી ગટરો નજરે નહીં પડતી હોય. ગટરમાં પાણીમાંથી પસાર થતી વખતે નાગરિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને સાથે જ વાહન ચાલકો પણ અહીંયા સ્લીપ થઈને પડી જતા હોય છે. તેમણે હાથમાં પકડ લઈને તંત્રને વિનંતી કરી હતી કે વહેલી તકે અલકાપુરી ગરનાળામાં ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં આવે.

Most Popular

To Top