Vadodara

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા ઘાટે દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીમાં સહભાગી થશે


ચૂંટાયેલા જનપ્રતિનિધી, સંગઠનના લોકો પણ આરતીમાં ઉત્સાહભેર ભાગ લેશે

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ નર્મદા ઘાટ ખાતે સાંધ્ય નર્મદા મૈયા આરતીમાં દોઢ લાખ દિવડા પ્રગટાવાશે, રેવાનો ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરેડ-દિપોત્સવી પર્વ આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ
———
રાજપીપલા: આગામી ૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ સરદાર પટેલ સાહેબની ૧૪૯મી જન્મજયંતિ પ્રસંગે નર્મદા જિલ્લાના એકતાનગર- કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ કાર્યક્રમ યોજાશે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા નર્મદા ઘાટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ દિપોત્સવી પ્રાગટ્ય પર્વ-૨૦૨૪ કાર્યક્રમ ૩૦મી ઓક્ટોબરે નર્મદા ઘાટ ઉપર સાંધ્ય આરતી-આતશબાજી-દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી સાંધ્ય નર્મદા મહા આરતીમાં દિપ પ્રાગટ્ય કરીને આરતીનો પ્રારંભ કરાવશે. જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રાજ્યના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને આરતીમાં ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા આસ્થા સાથે આ આરતીમાં સામેલ બનશે. અને ૧.૫૦ લાખથી વધુ દિવડાઓ પ્રગટાવી માં રેવાનો આ પવિત્ર ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે. અને નર્મદા ઘાટને સુશોભિત કરી ફૂલોથી શણગારવામાં આવશે.

તા.૨૩મી ઓક્ટોબરે સાંજે કલેક્ટર કચેરી ખાતેના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, SoUADTGAના અધિક કલેક્ટર નારાયણ માધુ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી સહિત ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને સુચારૂ આયોજન અમલવારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

00000

Most Popular

To Top