દાહોદ:
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખેરીયા ગામે ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી નાણાંની લેતી દેતી મામલે એક વ્યક્તિને ગડદાપાટ્ટુનો, કુહાડી વડે તેમજ લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડાના ખેરીયા ગામે રહેતાં કમલેશભાઈ કપીરભાઈ પલાસ, અલ્પેશભાઈ કપીરભાઈ પલાસ, વિપુલભાઈ રામસીંગભાઈ પલાસ અને કપીરભાઈ મલાભાઈ પલાસનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે કુહાડી અને લાકડીઓ લઈ લીમખેડાના ખેરીયા ગામે નાકા ફળિયામાં રહેતાં આપસીંગભાઈ ભલાભાઈ પલાસ પાસે આવ્યાં હતાં અને પલાસભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગ્યા કે, જાદા તથા ચૈડીયા ગામનો વિધવા બહેનનો પંચરાહે નિકાલ કર્યા છે. તેમાં જે પંચના માણસોને ભાગે આવતાં બધા રૂપીયા તે એકલાએ વાપરી નાખ્યા છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને આપસીંગભાઈને ગડદાપાટ્ટુનો માર મારી તેમજ કુહાડી વડે અને લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખ્યાં હતાં અને મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં નાસી જતાં આ સંબંધે સરૂપીબેન આપસીંગભાઈ પલાસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————–