નસવાડી તાલુકાના ખોખરા ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા ગ્રામજનોમાં રોષ
નસવાડી : નસવાડી તાલુકાના ખોખરા (વ) ગામે રસ્તાના અભાવના કારણે સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી. પ્રસૂતિનો દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ ગામ સુધી યોગ્ય રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. અંતે ગ્રામજનોએ જીવના જોખમે સગર્ભા મહિલાને ખુલ્લી પિકઅપ જીપમાં બેસાડી લગભગ ૨ કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી પહોંચાડી, ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ખોખરા ગામમાં આશરે ૮૦૦ જેટલી વસ્તી વસે છે. ગામથી મુખ્ય રસ્તો લગભગ બે કિલોમીટર દૂર આવેલો છે. ગામના પ્રવેશદ્વાર પર આવેલો લો-લેવલ કોઝવેના બંને છેડાઓ પર માટી ધોવાઈ જવાથી માર્ગ વધુ બગડેલો છે. ઉપરાંત ગામ સુધી જતો રસ્તો કાચો હોવાથી વરસાદ કે અન્ય સમયે વાહન વ્યવહાર મુશ્કેલ બની જાય છે. પરિણામે ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના તાત્કાલિક સેવા વાહનો ગામ સુધી પહોંચી શકતા નથી.
સ્થાનિક લોકો જણાવે છે કે આદિવાસી વિસ્તારમાં આવેલાં આવા ગામો આજે પણ મૂળભૂત રસ્તાની સુવિધાથી વંચિત છે. વિકાસના દાવાઓ વચ્ચે સગર્ભા મહિલાઓને આવી જોખમી પરિસ્થિતિમાં હોસ્પિટલ પહોંચવું પડે છે. ગ્રામજનો છેલ્લા બે વર્ષથી પુલ અને પાકા રસ્તાની માંગણી કરી રહ્યા છે. ગ્રામસભાઓમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે, છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી.
ગ્રામજનોનું કહેવું છે કે સેવાસેતુ જેવા કાર્યક્રમો જો આવા ગામોમાં યોજાય તો હકીકત સામે આવે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા વિસ્તારોની મુલાકાત લઈ તાત્કાલિક રસ્તા અને પુલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર: સર્વેશ મેમણ
.