મરામતની કામગીરીમાં દોઢ મહિનાથી વધુ સમય લાગે તેવી ધારણા :
બ્રિજ નીચેના હંગામી દબાણો, આડેધડ પાર્ક થયેલા વાહનોથી ચાલકોની મુશ્કેલી વધી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરા શહેરના મહત્વના વિસ્તારો સાથે જોડતો ફતેગંજ બ્રિજ અનેક વાહનચાલકો માટે મુખ્ય માર્ગ છે. મેન્ટેનન્સના કારણે બ્રિજને 30 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મરામતની કામગીરી દોઢ મહિનાથી વધુ સમય ચાલી શકે છે. એવી ધારણા વ્યક્ત થઈ રહી છે. પરિણામે મુસાફરો, નોકરીયાતો, ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓ સહિતનાઓએ તેના કારણે અગવડ વેઠવી પડી હતી.આગામી દિવસોમાં પણ વધી રહેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વડોદરા શહેરનો ફતેગંજ બ્રિજ મેન્ટેન્સની કામગીરીના કારણે બંધ થતા ટ્રાફિકનો મોટો ભાગ બ્રિજ નીચેના વિકલ્પ માર્ગો સર્વિસ રોડ જવાના રૂટ પર શિફ્ટ કરાયો છે. પરંતુ આ માર્ગો હંગામી દબાણો તથા આડેધડ અહીં પાર્ક થયેલા વાહનોના કારણે સવારે ઓફિસના સમય દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી. વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. જેના કારણે અનેક નોકરીયાતો સમયસર ઓફિસે પહોંચી શક્યા ન હોતા. ખાસ કરીને સ્કૂલ સમય દરમિયાન વાહન વ્યવહાર વધુ ધીમો પડતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. પોલિટેક્નિક કોલેજ પાછળ રહેતા સુનિલભાઈએ જણાવ્યું કે, સવારે તથા સાંજે પીકઅવર્સ દરમિયાન માર્ગો પર ધસમસતી ભીડ અને અનિયંત્રિત વાહન વ્યવહારથી નિયમિત સંચલનમાં મોટી અટકણ ઉભી થઈ રહી છે.

હાલ ચાલી રહેલા કામને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટ્રાફિક પોલીસની વધારાની જરૂરિયાત છે. પરંતુ આજે સવારના સમયે અહીં કોઈ ટ્રાફિક પોલીસ ન જણાતા ટ્રાફિક સમસ્યા વધુ વકરી હતી. લોકો સહજ રીતે અને ધીરજપૂર્વક વાહન ચલાવે તો જ સ્થિતિમાં સુધારો શક્ય બને છે. આગામી દિવસોમાં ટ્રાફિકની મુશ્કેલી યથાવત રહેવાની શક્યતા છે.