Vadodara

મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફાયર સિસ્ટમ ચાલતી નથી છતાં એનઓસી આપી દેવાઈ

વડોદરા : રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયરબ્રિગેડ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ શહેરમા મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોમા જ ફાયરસિસ્ટમ કાર્યરત ન હોવા છતાં એનઓસી આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

થોડાંક દિવસો અગાઉ રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયો હતો .જેમાં ત્રીસ ઉપરાંત બાળકો સહિતના લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે. આ સમગ્ર ઘટનામાં રાજકોટ પાલિકાના અધિકારીઓ, પોલીસ તથા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર તમામ જવાબદાર લોકોની ગંભીર બેદરકારી બહાર આવી છે અને ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે સાથે જ વડોદરા, અમદાવાદ, સુરત મહાનગરપાલિકા પાસેથી પણ ગેમઝોન સહિતના રિપોર્ટ માંગવામાં આવતા વડોદરા મહાનગરપાલિકા એક્શનમા આવી ગયું છે. પરંતુ અહીં પાલિકા તંત્રની વધુ એક બેદરકારી બહાર આવવા પામી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્કાય હાર્મોની રેસિડેન્સીમા ફાયર સિસ્ટમ તો આપવામાં આવી છે જેની એનઓસી પણ મેળવી લેવામાં આવી હતી, પરંતુ આ ફાયરસિસ્ટમ પ્રોપર રીતે કાર્યરત નથી સાથે જ શહેરમાં અન્ય જગ્યાએ આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફાયરસિસ્ટમ લગાડી તો દેવામાં આવ્યા હતા પરંતુ ત્યાં આવાસો બન્યા ત્યારથી કોઇપણ પ્રકારની મોકડ્રીલ કે સિસ્ટમની ચકાસણી કરવામાં આવી નથી. શહેરના અક્ષરચોક ખાતે આવેલા અક્ષર રેસિડેન્સી (મુખ્યમંત્રી આવાસ યોજના)મા પણ કોઇને પણ ફાયરસિસ્ટમ અંગેની માહિતી આપવામાં આવી નથી આ જ રીતે અન્ય સ્થળોએ આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં કોઇને પણ ફાયરસિસ્ટમ વિશે માહિતી નથી આપવામાં આવી. જેના કારણે જો ભવિષ્યમાં કોઇ આકસ્મિક દુર્ઘટના સર્જાય તેવા સંજોગોમાં એકમાત્ર ફાયરબ્રિગેડ આવવાની રાહ જોવા સિવાય કોઇ છૂટકો જ ન રહે ત્યાં સુધીમાં ઘણું નુકશાન થઇ શકે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર, ફાયરબ્રિગેડ તથા પોલીસ વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top